રાજકોટમા (Rajkot) મનપાની એક ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કાલાવાડ રોડ સહિતા સ્થળ પર સ્પીડ અંગેના બોર્ડ (speed sign board) લગાવવામાં આવ્યાં છે. સ્પીડના સાઇન બોર્ડમાં સામાન્ય રીતે એક કાલાકમાં કેટલી સ્પીડે (Kilometer per hour- KMPH) વાહન ચલાવવું તે લખવામાં આવતું હોય છે. પરંતુ શહેરમાં લગાવેગા આ સાઇન બોર્ડ પર સ્પીડ લિમિટમાં KMPS લખવામાં આવ્યું છે. એટલે શું રાજકોટવાસીઓએ એક સેકન્ડમાં 40 કિમીની ઝડપે વાહન ચલાવવું પડશે તેવો અર્થ થાય છે.
જોકે, સામાન્ય રીતે મનપા લોકોની તકેદારી રાખવા માટે આવા અનેક પ્રકારના સાઇન બોર્ડ લગાવતી હોય છે. પરંતુ સરકારી ઓફિસોમાં મસમોટા પગાર મેળવનારા અધિકારીઓની આંખમાંથી આટલી નાની વાત કઇ રીતે રહી જાય તે પણ પ્રશ્ન છે.
પ્રજા જો ભૂલ કરે તો દંડ લેવામાં તંત્ર ચૂકતા નથી ત્યારે તંત્રએ જ આટલી મોટી ભૂલ કરી છે તેનું શું. આ ભૂલ તો હવે વાયરલ થશે એટલે મનપા સુધારી દેશે પરંતુ તે માટેના ખોટા ખર્ચા તો પ્રજાના ખિસ્સામાંથી જ જશે.
આ પહેલા પણ થઇ હતી ભૂલ
મનપા દ્વારા આ પહેલા પણ ઉપલાકાંઠા વિસ્તારમા એક ભૂલ ભરેલું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. જેમાં ત્યાં કચરો નહી ફેંકવાની સૂચના આપવામાં આવી હતી અને સૂચનાનો ભંગ કરનાર સામે જીપીએમસી એક્ટની કલમને બદલે આઇપીસીની કલમ 376 મુજબ કાર્યવાહીની તાકીદ કરી હતી. આઇપીસી 376ની કલમ દુષ્કર્મ આચરનાર સામે પોલીસ દ્વારા લગાવવામાં આવે છે. તો ત્યારે પણ મસમોટી ભૂલ થઇ હતી.