Home /News /rajkot /રાજકોટ: મોતની સફરમાં પણ મિત્રોએ નિભાવી યારી, અંતિમયાત્રા જોઇને ગામ હિબકે ચડ્યું
રાજકોટ: મોતની સફરમાં પણ મિત્રોએ નિભાવી યારી, અંતિમયાત્રા જોઇને ગામ હિબકે ચડ્યું
જીગરજાન મિત્રોએ મોતની સફરમાં પણ મિત્રતા છોડી ન હોવાનો કિસ્સો
Rajkot News: રાજકોટના ધોરાજી અને ગોંડલના બે જીગરજાન મિત્રોએ મોતની સફરમાં પણ મિત્રતા છોડી ન હોવાનો કિસ્સો સામે આવ્યો, અંતિમયાત્રા જોઇને ગામ હિબકે ચડ્યું
રાજકોટ: ઘણા વર્ષો પૂર્વે શોલે નામની હિન્દી બ્લોકબસ્ટર ફિલ્મ આવી હતી. જે ફિલ્મમાં એક ગીત હતું, જેના બોલ હતા "યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે ". આ જ પ્રકારના ગીતના બોલ સાર્થક કરતો કિસ્સો રાજકોટના ગ્રામ્ય પંથકમાં સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય પંથકના ધોરાજી અને ગોંડલના બે જીગરજાન મિત્રોએ મોતની સફરમાં પણ મિત્રતા છોડી ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
જીગરજાન મિત્રોનું અકસ્માતમાં મૃત્યુ
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ગોંડલના ગુંદાળાના ધર્મેશ શેલડીયા અને ધોરાજીના જયદીપ પેથાણી નામના જીગરજાન મિત્રોનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. રવિવારના રોજ બંને જીગરજાન મિત્રોની અંતિમયાત્રા તેમના ગામમાંથી નીકળી હતી. બંને જીગરજાન મિત્રોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું.
મળતી વિગતો અનુસાર, ગુંદાળામાં રહેતા પ્રકાશભાઈ શેલડીયાને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પુત્ર ધર્મેશનું અકસ્માતમાં મોત નિપજતા પિતાએ પોતાનો એકનો એક વ્હાલસોયો તેમજ ઘડપણની લાકડી ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતક ધર્મેશના કાકાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધર્મેશ હંમેશા હસતો રહેતો હતો. તેમજ લોકોને હસાવતો રહેતો હતો. અમે પરિવારમાં તેને જોકર કહીને જ બોલાવતા હતા. ધર્મેશે બીએસસી કેમેસ્ટ્રી સુધીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે અંકલેશ્વરની પ્રો લાઇફ ગેમો નામની ફાર્મા કંપનીમાં કામ કરતો હતો.
સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા થયો હતો અકસ્માત
અંકલેશ્વરની ફાર્મા કંપનીમાં કામ કરનારા નવ જેટલા યુવાનો સેલવાસ ગયા હતા, ત્યારે શુક્રવારે રાત્રે પરત ફરતાં 03:20 વાગ્યા આસપાસ નાજ હોટલ્સ સામે હાઇવે પર કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદી સામેના ટ્રેક પર આવી રહેલી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી. જેમાં બન્ને મિત્રોના મોત નિપજ્યાં હતાં.