રાજકોટ: સુરત બાદ હવે રાજકોટ ગ્રામ્ય પંથકમાં પણ શ્વાનનો આતંક સામે (Rajkot Dog Attack) આવ્યો છે. રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે શ્વાનનો આતંક સામે આવ્યો છે. સાપર વેરાવળ ખાતે આવેલા શીતળા માતાના મંદિર પાસે શુક્રવારની રાત્રે 8:30 કલાક આસપાસ અર્શદ મહમદ અંસારી નામના અઢી વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે.
રમી રહેલા બાળક પર શ્વાનનો હુમલો
અર્શદ નામનો બાળક શીતળા માતાના મંદિર પાસે રમવા ગયો હતો. જે સમયે તેને શ્વાને આગળ અને પાછળના ભાગે બટકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલાની જાણ બાળકની માતાને થતા તાત્કાલિક અસરથી બાળકના માતા-પિતા દ્વારા સારવાર અર્થે તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. સૌપ્રથમ તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી ઈમરજન્સી અને ત્યાર બાદ હાલ ઓપીડી બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, અર્શદ અને તેનો પરિવાર મૂળ લખનઉના વતની છે. બાળકના પિતા શાપર વેરાવળ ખાતે મજૂરી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવી રહ્યા છે.
મીડિયા સાથેની વાતચીતમાં બાળકની માતાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તેમનું બાળક અન્યના બાળકો સાથે મળીને શીતળા માતાના મંદિર પાસે રમવા જાય છે. પરંતુ ગઈકાલે તે એકલો રમવા ગયો હતો અને જે સમયે તે શ્વાનનો ભોગ બન્યો હતો. જે સમયે તેમનું બાળક શ્વાનનો ભોગ બન્યો ત્યારે તેઓ કપડા ધોઈ રહ્યા હતા. જ્યારે આડોશ પાડોશના લોકોએ કહ્યું કે, તમારા બાળકને શ્વાને બટકા ભર્યા છે. ત્યારે તેમનું ધ્યાન તેમના બાળક તરફ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા શ્વાનના ખસીકરણ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. તેમ છતાં શ્વાનના આતંકની ઘટના ન તો રાજકોટ શહેરમાં બંધ થવાનું નામ લઈ રહી છે ન તો રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં.