Home /News /rajkot /Rajkot Doctor dead body found: રાજકોટમાં મેડિકલ કોલેજના PSMના વડા ડૉ. શોભા મિશ્રાનો મૃતદેહ મળી આવ્યો
Rajkot Doctor dead body found: રાજકોટમાં મેડિકલ કોલેજના PSMના વડા ડૉ. શોભા મિશ્રાનો મૃતદેહ મળી આવ્યો
મેડિકલ કોલેજના PSMના વડા ડૉ. શોભા મિશ્રાનો મૃતદેહ મળી આવ્યો
Rajkot Doctor dead body found from home: રાજકોટમાં એક ડોક્ટરે જીવ ગુમાવતા ચકચાર. ઘરમાંથી જ મૃતદેહ મળ્યો. મેડિકલ કોલેજના PSMના વડા ડૉ. શોભા મિશ્રાનો મૃતદેહ મળી આવ્યો. કયા કારણોસર ડોક્ટરનું થયું મૃત્યુ?
રાજકોટ: રાજકોટમાં એક ડોક્ટરે જીવ ગુમાવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ. ઘરમાંથી જ મૃતદેહ મળતા માતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા. મેડિકલ કોલેજના PSM વિભાગના વડા તરીકે ડૉ. શોભા ફરજ બજાવતા હતા. માતા પિતાએ દીકરીને ફોન કરતા તેમનો ફોન રિસિવ ન થતાં પરિવારને શંકા જતા તેમણે મેડિકલ કોલેજમાં ફોન કર્યો હતો. કોલેજના સ્ટાફને જાણ થતાં તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા, પરંતુ એ પહેલા જ ડો. શોભાનું મોત નિપજ્યું હતું. સ્થાનિકોના મતે હ્રદય રોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. પરંતુ સાચું કારણ તપાસ દરમિયાન જ સામે આવશે. તે અંગે પોલીસે તપાસ પણ શરુ કરી છે.
ડોક્ટર શોભા મિશ્રાએ દરવાજો ન ખોલ્યો
રાજકોટના રેસકોર્સ પાર્કમાં રહેતા ડોક્ટર શોભા મિશ્રા મૃત હાલતમાં પોતાના ઘરમાંથી મળી આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે પાડોશીએ જાણ કરતા પ્રદ્યુમ નગર પોલીસે પણ તપાસ હાથ ધરી છે. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં રેસકોર્સ પાર્ક બ્લોક નંબર 28માં રહેતા ચાંદરાણી દંપતીએ જણાવ્યું હતું કે, ચંદનભાઈ ચાંદરાણીને શારીરિક તકલીફ પહોંચી હતી. જેના કારણે પાડોશમાં રહેતા ડોક્ટર શોભા મિશ્રાનો દરવાજો ખટખટાવ્યો હતો. જોકે, ડોક્ટર શોભા મિશ્રાએ દરવાજો ન ખોલતા તાત્કાલિક અસરથી ચંદનભાઈ ચાંદરાણીને 108 મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને જરૂરી તબીબી સારવાર પણ આપવામાં આવી હતી તો સાથે જ કેટલાક રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા હતા.
આ સમયે પણ ચંદનભાઈના પત્ની દ્વારા ડોક્ટર શોભા મિશ્રાના ઘરે અનેક વખત બેલ વગાડવામાં આવી હતી તેમજ દરવાજો પણ ખટખટાવવામાં આવ્યો હતો. તેમ છતાં ડોક્ટર શોભા મિશ્રાએ દરવાજો ન ખોલતા ચંદનભાઈ ચાંદરાણીની પત્નીને શંકા ઉપજી હતી. જેના કારણે તેમણે આડોશ પાડોશની વ્યક્તિઓને પણ દરવાજો ન ખોલવા બાબતે વાતચીત કરી હતી. બીજી તરફ સમગ્ર મામલે ચંદ્રની દંપતી દ્વારા ડોક્ટર શોભા મિશ્રાની દીકરીને પણ ફોન દ્વારા જાણકારી આપવામાં આવી હતી. ડોક્ટર શોભા મિશ્રાની ઇન્ટર્ન દીકરીએ મેડિકલ કોલેજના સ્ટાફ સાથે વાતચીત કરી તેમને ઘરે જવા કહ્યું હતું. મેડિકલ કોલેજનો સ્ટાફ જ્યારે ડોક્ટર શોભા મિશ્રાના ઘરે પહોંચીને દરવાજો ખોલ્યો ત્યારે ડોક્ટર શોભા મિશ્રા મૃત હાલતમાં મળી આવ્યા હતા. મેડિકલ કોલેજના સ્ટાફ દ્વારા જરૂરી પમ્પિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. જોકે કોઈપણ પ્રયત્નો કામ લાગ્યા નહોતા.
કયા કારણોસર ડોક્ટર શોભા મિશ્રાનું મૃત્યુ થયું?
આ સમગ્ર મામલે કયા કારણોસર ડોક્ટર શોભા મિશ્રાનું મૃત્યુ થયું છે તે અંગે કારણ જાણવા માટે તેમનું પીએમ કરાવવામાં આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્ટર શોભા મિશ્રાને હાર્ટ એટેક આવ્યો હોય, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, મૃતક ડોક્ટર શોભા મિશ્રાના પતિ પણ ડોક્ટર છે. તેમજ તેમની પુત્રી પણ ગોધરા ખાતે ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ નિભાવી રહી છે.