હરિન માત્રાવાડિયા, રાજકોટ : સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે. ગુરુવારે શહેરમાં નવા 10 કેસ નોંધાયા હતા. શુક્રવારે એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા છે. શુક્રવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સમઢીયાળા ગામની એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઉપરાંત વાંકાનેરની 49 વર્ષી મહિલા તેમજ ગોંડલના 50 વર્ષીય પુરુષનું મોત થયું છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા 38 દિવસની વાત કરવામાં આવે તો સ્વાઇન ફ્લૂના 155 કેસ નોંધાયા છે. આ દરમિયાન શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં 26 લોકોનાં મોત થયા છે. હાલ સ્વાઇફ ફ્લૂના 47 જેટલા દર્દીઓ રાજકોટમાં સારવાર લઈ રહ્યા છે. ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સારવાર ચાલી રહી છે.
સ્વાઇન ફ્લૂથી બચવા આટલું કરો
H1N1 ઇન્ફ્લુએન્ઝા વાઇરસથી થતી ફ્લુ જેવી જ બીમારી છે જે હવે સીઝનલ ફ્લુ છે. સાદા ફ્લુની જેમ જ ખાંસી કે છીંક આવવાથી એક માણસથી બીજા માણસમાં ફેલાય છે અથવા તો H1N1વાઈરસથી ઈન્ફેકટેડ એટલે કે સંક્રમિત વસ્તુને અડકવાથી અને પછી તે હાથ મોં કે નાક ને અડકવાથી ફેલાય છે.
પાંચ વર્ષથી નાના બાળકો,સગર્ભા સ્ત્રી, 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, લાંબી બીમારીથી પીડાતા વ્યક્તિ, આ ઉપરાંત દમ, શ્વાસનતંત્રના રોગો, મધુપ્રમેહ (ડાયાબિટીસ), હૃદયરોગ, કીડની, રક્તવિકાર, મગજ અને મજ્જાતંતુના રોગીઓ તેમજ એચ.આઈ.વી.ના દર્દીઓને આ રોગ જોખમી પુરવાર થઈ શકે છે.
સીઝનલ ફ્લુથી બચવા આટલું કરો:
પુરતો આરામ કરવો, સાત્વિક આહાર લેવો, પાણી વધારે પીવું, કસરત કરવી અને તણાવમુક્ત રહેવું.
શરદી-ખાંસી થાય એટલે તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટરનો સંપર્ક કરવો.
છીંક કે ખાંસી આવે ત્યારે મો પર રૂમાલ કે ટીસ્યુ પેપર રાખવું. નાક, મો અને આંખ પર હાથથી સ્પર્શ ન કરવો.
બીમાર વ્યક્તિએ ઘરમાં જ રહેવું.
માંદા વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું.
હસ્તધૂનન કે અન્ય શારીરિક સંપર્ક ટાળવો અને થાય તો હાથ ધોવા જ્યાં ભીડ હોય ત્યાં જવાનું ટાળવું. દા.ત. શોપિંગ મોલ, થીયેટર વિગેરે. ધીરજથી કામ લેવું અને અંધાધુંધી ફેલાવવી નહી.