Mustufa Lakdawala,Rajkot : વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે. ત્યારે પ્રેમી પંખીડાઓ પોતાના વેલેન્ટાઈનને ખુશ કરવા માટે અલગ અલગ દિવસની ઉજવણી કરશે અને પ્રેમનો ઈઝહાર કરશે. ત્યારે આ બધા વચ્ચે આજે અમે તમને થોડીક કાયદાકીય પ્રક્રિયા અંગે માહિતી આપીશું કે જે છોકરા છોકરીઓ પ્રેમ લગ્ન કરવા માંગતા હોય તેના માટે શું શું કાયદા હોય છે અને કેવી રીતે આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. આપણે આ બધી માહિતી જાણીશું રાજકોટના એડવોકેટ અર્જુન પટેલ પાસેથી.
એડવોકેટ અર્જુન પટેલે જણાવ્યું હતું કે 14 ફેબ્રુઆરીએ આજના યુવાનો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે. ખરેખર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આવા કોઈ ડે ઉજવવાની પરંપરા નથી. પણ આજે દુનિયા બદલાઈ રહી છે. ત્યારે આ કન્સેપ્ટની અંદર આ વેલેન્ટાઈન ડે પર અત્યારના યુવાનોને લગ્ન વિધિ પણ સમજવાની જરૂર છે. કારણ કે ઘણી વખત યુવાનો એવા પગલા ભરી લેતા હોય છે કે પાછળથી તેને પસ્તાવાનો વારો આવે છે.
ત્યારે આજે હું આપને લગ્નની વિધિ અને કાયદાકિય બાબતની થોડીક માહિતી આપીશ. જ્યારે હિન્દુ યુવક-યુવતી લગ્ન કરે ત્યારે હિન્દુ એક્ટ 1956 એક કાયદો છે. એ મુજબ દિકરો 21 અને દિકરી 18 વર્ષની હોય ત્યારે તેઓ બંને લગ્ન કરી શકે છે. જેમ જન્મનું રજિસ્ટ્રેશન થાય છે તેવી જ રીતે મેરેજ પણ રજીસ્ટર્ડ થાય છે.
ભાગીને લગ્ન કર્યા હોય તો.
પણ ઘણી વખત લગ્ન ન થયા હોય તો પણ કોર્ટમાં નોંધણી કરાવવામાં આવતી હોય છે. એ એવા લોકો કરાવે છે કે જેઓ ભાગીને લગ્ન કરે છે. પણ આ ખરેખર એક ગુનો બને છે. ભારતીય સંવિધાનની કલમ 467, 468 અને આ સર્ટીફિકેટનો ઉપયોગ કરવામાં આવે તો 471-472ની કલમ લાગુ પડે છે. જે અત્યારના છોકરા-છોકરીઓને ખબર હોતી નથી.
જાણો કેવી રીતે થાય છે સિવિલ મેરેજ…?
એડવોકેટ અર્જુન પટેલે જણાવ્યું હતું કે જો તમે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા જ નથી અને તમે નોંધણી કરાવો છો તો આ ગુનો છે. પણ જો એવા કોઈ છોકરા છોકરીઓ હોય કે જેને માતા-પિતાની મરજી વિરૂદ્ધ લગ્ન કરવાના છે તો તેના માટે પણ એક એકટ છે. જે છે સિવિલ મેરેજ એક્ટ 1954 એક્ટ. આ મુજબ તમે પુખ્તવયના હોવા જોઈએ. આ પ્રક્રિયાની નોંધણી સબરજિસ્ટ્રારમાં છે. જ્યાં ફોર્મ ભરવાનું હોય છે.જેને કહેવાય લગ્ન કરવાના ઈરાદાની નોટિસ.
30 દિવસનો આપવામાં આવે છે સમય
આ લગ્નના ઈરાદાની નોટિસ જાહેર કર્યા પછી તમને 30 દિવસનો સમય આપવામાં આવે છે. જે 30 દિવસ બાદ એ જ સબરજિસ્ટ્રારની ઓફિસમાં 3 કપલને લઈને જવાના હોય છે સાક્ષી તરીકે. જે તમારા ફોર્મમાં સહી કરે. આ લગ્ન કાયદેસરના લગ્ન માનવામા આવે છે અને સબરજિસ્ટ્રાર તમને સર્ટિફિકેટ પણ આપે છે. આ લગ્નને સિવિલ મેરેજ કહેવામાં આવે છે. આમ સિવિલ મેરેજ અને હિન્દુ લગ્ન બેય અલગ બાબત છે.
જાણો પિતાની પ્રોપર્ટીમાંથી દિકરીનો હક્ક કેવી રીતે જતો રહે છે.
સિવિલ મેરેજમાં ખાસ વાત એ છે કે જે દિકરી સિવિલ મેરેજ કરે છે. તેનો તેની પિતાની પ્રોપર્ટીમાંથી હક્ક જતો રહે છે. આમ પછી દિકરી આ પ્રોપર્ટીમાં ભાગ માંગી શકતી નથી.