રાજકોટ: લેઉઆ પટેલ સમાજના આસ્થારૂપ ખોડલધામના નેજા હેઠળ મહિલા સમિતિ, વિદ્યાર્થી સમિતિ સહિત અનેક સમિતિઓ ચાલી રહી છે અને અનેક વિવિધ સેવાકીય કાર્યોની સુવાસ ફેલાઈ રહી છે. ત્યારે સરદાર પટેલ કલચરલ ફાઉન્ડેશન અને ખોડલધામના નેજા હેઠળ એક અદકેરું અને નવું જ પીછું પોતાની યશકલગીમાં ઉમેરવા માટે જઈ રહ્યા છે. રાજકીય કારકિર્દી ઘડવા માંગતા સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના યુવાનો માટે ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા રૂપે (KYPLI) એક નવીનતમ પહેલ શરૂ થઈ રહી છે.
એક સામાન્ય વ્યક્તિ સરપંચથી લઈને સંસદ સભ્ય સુધી બનવાનું લક્ષ્યને સેવે છે. એ યુવાનમાં જોમ અને જુસ્સો છે, રાષ્ટ્ર ભક્તિ સાથે સેવા ભાવનાની એમના હૈયે આશ છે. માતૃભૂમિના હિત માટે રાજકારણમાં જવાની ત્યારે આ લક્ષ્ય અને સેવેલા સ્વપ્નને સાકાર કરવા માટે ખોડલધામ તેમને પૂર્ણ રીતે સહયોગ કરશે. એમના લક્ષ્યને આંબવા અને એ સ્વપ્નને હાંસલ કરવા એમને મજબૂત બનાવશે.
આગામી તારીખ 6 ઓગસ્ટ, શનિવારના રોજ બપોરે 3 થી 6 વાગ્યે, સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, પાણીના ટાંકાની સામે, માલવિયા પોલીસ સ્ટેશન વાળી શેરી, મવડી રોડ, રાજકોટ ખાતે આ રાજકીય કારકિર્દી સેમીનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં સર્વ સમાજના યુવાનોને ભાગ લેવા અનુરોધ કરાયો છે.
વ્યવસ્થાના ભાગ રૂપે રજિસ્ટ્રેશન મો. 70699 29297 કરાવવું જરૂરી છે. રાજકારણ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા યુવાનો માટે એક ઉત્તમ તક રાજકોટના દ્વારે ખોડલધામ લઈને આવ્યું છે. અગ્રગણ્ય ફેકલ્ટી, અનુભવી વ્યક્તિઓ અને વિષયના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા વ્યક્તિ પાસે તમામ રાજકીય પાસાઓની સમજ સાથે પરિણામ લક્ષી કામની સમજ આપવામાં આવશે. ત્યારે આવનારા સમયમાં ખોડલધામના નેજા હેઠળ ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા (KYPLI) અંતર્ગત અનેક પ્રકલ્પ સાકાર થવાના છે.
આગામી સમયમાં ધારાસભ્યથી લઈ સંસદ સભ્ય સુધીના વ્યક્તિઓના સંવાદો ગોઠવવામાં આવશે. જેમાં સફળ થયેલા ધારાસભ્યો અને સાંસદ સભ્યો યુવાનોને રાજકારણમાં આવવા માટે પ્રેરિત કરશે અને એમના માધ્યમથી આ શહેરને, રાજ્યને અને દેશને એક સરદાર વલ્લભભાઈ પટેલની પરંપરાને આગળ વધારે તેવા મજબૂત ને કદાવર નેતાઓ મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે.