Mustufa Lakdawala, Rajkot: કબા ગાંધીના ડેલા (Kaba Gandhi no Delo) તરીકે ઓળખાતુ રાજકોટ શહેરનું આ સ્થળ એટલે ભારતદેશનાં રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર વિશ્વવિભૂતી એવા મહાત્મા ગાંધીજીનું (Mahatma Gandhiji) બાળપણનું મકાન. આ મકાન રાજકોટ શહેર (Rajkot city) નાં જૂના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. આ મકાન મહાત્મા ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી (Karamchand Gandhi) જ્યારે સૌરાષ્ટ્રના નવાબના દિવાન હતા તે સમયે વર્ષ 1880-81માં બનાવ્યું હતું. મહાત્મા ગાંધીજી પોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પૂર્ણ કરીને પોતાના પિતાની સાથે રાજકોટ આવીને રહ્યા હતાં અને અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ગાંધીજીના પિતાના નામ પરથી પડ્યુંકબા ગાંધીના ડેલાનું નામ
કબા ગાંધીના ડેલાનું સંચાલન કરતા અલ્પનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કબા ગાંધીનો ડેલો એટલે જ્યાં મહાત્મા ગાંધીજીનું બાળપણ, ભણતર અને તેમનું લગ્નજીવનની શરૂઆત થઈ. તેમના બે પુત્રનો જન્મ પણ અહીં થયો હતો. તેમના માતા-પિતાનું અવસાન પણ કબા ગાંધીના ડેલામાં થયું હતું. કબા ગાંધીનો ડેલો એટલે કરમચંદ ગાંધીનું પેટનામ કબા. આ રીતે કબા ગાંધીના ડેલા તરીકે ઓળખાય છે.
ગાંધી સ્મૃતિના નામથી ડેલાનું જતન
મહાત્મા ગાંધીજીએ બાળપણથી યુવાનકાળ સુધીનો સમય રાજકોટમાં આ સ્થળે પસાર કર્યો હોવાથી ગુજરાત સરકારે આ સ્થળને ગાંધી સ્મૃતિનાં નામથી જતન કરીને લોકોને જાણકારી મળી રહે તે માટે વિકસાવેલ છે. આ સ્થળે રાજકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ જરૂરથી મુલાકાત લે છે.મહાત્મા ગાંધીજી તે સમયે જે જે વસ્તુનો ઉપયોગ કરતા તે વસ્તુ તથા તેમના બાળપણનાં ફોટોગ્રાફ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે.
1876માં ગાંધીજીના પિતા રાજકોટ આવ્યા હતા
અલ્પનાબેને વધુમાં જણાવ્યું હતું કે, 1876માં મહાત્મા ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી રાજકોટના દીવાન નિમાયા અને ગાંધી પરિવારે પોરબંદરથી રાજકોટ સ્થળાંતર કર્યું. હતું. ત્યારબાદ આ ડેલો 1880-81 દરમિયાન બાંધવામાં આવ્યો હતો. 1881માં કબા ગાંધીનો પરિવાર એક ભાડાના ઘરમાંથી આ ઘરમાં રહેવા આવ્યો હતો. ગાંધીજીએ તેમના પ્રારંભિક જીવનના કેટલાક વર્ષો, 1881થી 1887 સુધી અહીં ગાળ્યા હતા. આ ઘર કાઠીયાવાડી શૈલીમાં બાંધવામાં આવ્યું છે. આ પ્રકારના ઘરોને ડેલો કહેવામાં આવે છે. કમાનવાળો મોટો પ્રવેશદ્વાર અને વિશાળ આંગણું એ તેની વિશેષતા છે.
કાઠીયાવાડી શૈલીમાં ડેલાનું બાંધકામ
અલ્પનાબેને વધુમાં જણાવ્યું હતું કે, આ નિવાસ પરંપરાગત કાઠીયાવાડી શૈલીમાં બાંધવામાં આવ્યો છે. જેમા એક કમાન ધરાવતો પ્રવેશદ્વાર અને મોટું આંગણું હોય છે. આ ડેલાની બહાર એક હેંડ પંપ છે. કહેવાય છે કે તે ગાંધીજીના સમયનો છે. કબા ગાંધીનો ડેલો, હવે એક કાયમી પ્રદર્શન કે સંગ્રહાલયમાં ફેરવી દેવાયો છે. આ પ્રદર્શન ગાંધી સ્મૃતિ નામ અપાયું છે કબા ગાંધીનો ડેલો, સાંકડી ગલીઓ ધરાવતા જૂના રાજકોટના ખાતે ઘી કાંટા રોડ પર આવેલો છે. ગુજરાતમાં આવેલ રાજકોટ શહેર એ પૂર્વ અને પ્રારંભિક રજવાડા સૌરાષ્ટ્રની રાજધાની હતી.
અલ્પનાબેને વધુમાં જણાવ્યું હતું કે, કબા ગાંધીની ડેલામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના છાયાચિત્રો અને તેમના દ્વારા વપરાતી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તે વસ્તુઓ અને છાયા ચિત્રોની સંલજ્ઞ માહિતી હિન્દી અને ગુજરાતી ભાષામાં મૂકવામાં આવી છે. આ ઈમારતના પરિસરમાં એક બિન સરકારી સંસ્થા, યુવા છોકરીઓ માટે સીવણ અને ભરતકામના વર્ગો ચલાવે છે. આ ડેલો સોમવારથી શનિવાર સુધીમાં સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજના 5 વાગ્યા સુધી ખુલો રહે છે.