રાજકોટઃ શહેરના માર્કેટમાં આખરે કેસર કેરીનું આગમન થઈ ગયું છે. ત્યારે ગીરની ઓળખ ગણાતી અને વિશ્વના ખૂણેખૂણે વસતા ગુજરાતીના દાઢે વળગેલી એવી લોકોની પ્રિય કેસર કેરી બજારોમાં આવી ગઈ છે. મહત્ત્વનું છે કે, દરવર્ષ કરતાં ઓછું ઉત્પાદન થવાથી ભાવ આસમાને છે.
ગયા વરસની વાત કરીએ તો આ સમયે હોલસેલ માર્કેટમાં 10 કિલો કેરી 600થી 1100 રૂપિયે વેચાતી હતી. ત્યારે આ વખતે કેસર કેરી 800થી 1500 રૂપિયા સુધી વેચાય છે. કેસર કેરીના ઓછા ઉત્પાદનને કારણે મોટા પ્રમાણમાં ભાવવધારો જોવા મળ્યો છે.
આ ભાવ વધવા પાછળનું કારણ કેરીના વેપારીઓ કહી રહ્યા છે કે, કમોસમી વરસાદને કારણે કેરીના ભાવ ઉંચા ગયા છે અને આવતા દિવસોમાં પણ કેસર કેરીના ભાવ ઘટે તેવી શક્યતા ખૂબ ઓછી છે. જો હોલસેલ માર્કેટમાં આટલા ઊંચા ભાવ હોય તો છૂટક બજારમાં સીધી ખરીદી કરતા હોય ત્યાં તો ભાવ આના કરતાં પણ ઊંચા હોઈ શકે છે. રાજકોટમાં કેરીની આ સિઝન દરમિયાન રાજકોટની મેંગો માર્કેટમાં છ લાખથી વધુ કિલોની કેસર કેરી આવતી હોય છે. પરંતુ આ વખતે બે લાખ કિલોની આસપાસ કેસર કેરી આવે તેવી શક્યતા છે.
વેપારીઓના કહેવા પ્રમાણે, આ વખતે ઓલ ઓવર કેરીની આવકમાં 70થી 75 ટકા ઘટાડો નોંધાયો છે. આ વખતે દર વખતની સરખામણીએ માત્ર 20થી 25% જેટલી જ કેસર કેરી આવી છે. કેસર કેરીની આવકમાં થયેલા મોટા ઘટાડાનું કારણ છે કે, આ વખતે ઉનાળામાં આવેલા કમોસમી વરસાદે છેલ્લા કેટલાક દિવસોથી સૌરષ્ટ્ર અને કચ્છને ઘમરોળી નાંખ્યું છે. ત્યારે આંબાનો કેરીનો ફાલ ખરી ગયો છે તો કમોસમી વરસાદને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.