દુલ્હા-દુલ્હન ધામધૂમથી નહીં ગરીબોની સેવા કરીને લેશે સાત ફેરા
એક તરફ અત્યારના સમયમાં લોકો સ્વાર્થ માટે કોઈનું પણ ખરાબ કરવા રાજી થઈ જાય છે.એવામાં નાની ઉંમરમાં અમિતભાઈના આવા સેવાકિય કાર્યોથી લોકોને એક સાચો સંદેશ પણ મળી રહ્યો છે.
Mustufa Lakdawala,Rajkot : અત્યારે લગ્ન પ્રસંગ આવે એટલે લોકો લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરે છે. પ્રસંગને યાદગાર કરવા માટે અલગ અલગ થીમનુ આયોજન કરે છે. જેથી તે દરેક ક્ષણને આનંદ માણે.પણ આજે અમે આપને એક એવી જોડીની વાત કરીશું કે તે લગ્નમાં તામજામ કરીને નહીં પણ ગરીબોની સેવા કરીને પછી સાત ફેરા લેશે.
આ વાત કાલાવડ તાલુકાના આણંદપર અને સાંઢવાયાની છે, જ્યાં 7,8 અને 9 માર્ચે અનોખો માંગલિક પ્રસંગ યોજાશે. ગોબરભાઈ જેસડિયાના પુત્ર અમિતભાઈના લગ્ન પણ સારા પરિવારની લાડલી દીકરી રાધા સાથે યોજાવા થઈ રહ્યાં છે. ત્યારે આ લગ્નની કંકોત્રી માંગલીક પ્રસંગને પ્રેરણાદાયી સંદેશ પ્રસરાવી રહ્યાં છે.
એક તરફ અત્યારના સમયમાં લોકો સ્વાર્થ માટે કોઈનું પણ ખરાબ કરવા રાજી થઈ જાય છે. એવામાં નાની ઉંમરમાં અમિતભાઈના આવા સેવાકિય કાર્યોથી લોકોને એક સાચો સંદેશ પણ મળી રહ્યો છે અને લોકો પણ તેના વખાણ કરી રહ્યાં છે.
અમિતકુમાર જેલડિયાએ જણાવ્યું હતું કે તેઓ આણંદગામના વતની છે. હું મારા લગ્ન એકદમ સાદાઈથી કરવા માંગુ છું. કારણ કે હું ગરીબ પરિવારમાંથી આવુ છું. એક સમય એવો હતો કે કોઈ અમને રાશન પણ આપતું ન હતું. આજે હું જેને માનુ છું એવા મા ખોડલ અને મારા બહેન જે અત્યારે આ દુનિયામાં નથી તે જીજ્ઞાબેનની દયાથી મારે અત્યારે ખુબ સારૂ છે.
એટલે મે વિચાર્યું કે એવા કપરા સમયમાં મને ઘણા લોકોએ મદદ કરી હતી તો અત્યારે મારો સમય છે તો હું પણ બધાને મદદ કરૂ. જેથી મે મારા લગ્ન પ્રસંગમાં 7,8 અને 9 માર્ચ એ દિવસ ગામની ગૌશાળામાં ગાયોને ઘાસચારો, ગામની સ્કુલમાં બાળકોને લંચ બોક્સનું વિતરણ. કાલાવડમાં આવેલા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને નાસ્તાનું અને ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને નાસ્તાનું વિતરણ કરીને પ્રસંગ ઉજવવાનું નક્કી કર્યું છે.
આ પ્રસંગને લઈને મે મારા સસરા મુળજીભાઈ પરસાણા અને તેમની દીકરી રાધુને આ બધી વાત કરી. તો એ લોકોએ પણ મને આ વાતમાં ખુબ સાથ અને સહકાર આપ્યો. તેમને કહ્યું કે આ ખુબ જ સારૂ કામ છે.એટલે તેમને કહ્યું કે આમાં અમે ખુબ જ રાજી છીએ. એ લોકો પણ આ જ રીતે પ્રસંગની ઉજવણી કરશે.