Mustufa Lakdawala, Rajkot ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા હવે પૂર્ણ થઈ ગઈ છે એટલે હવે મધ્યસ્થ મુલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજકોટમાં 23 કેન્દ્રો પર આજથી મધ્યસ્થ મુલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં અઢીથી 3 હજાર શિક્ષકો જોડાશે. જો કે, આ પ્રક્રિયા માટે કેટલાક શિક્ષકોએ રજાની અરજી કરી હતી પણ બોર્ડે અમુક કિસ્સાને બાદ કરતા તમામ અરજી ફગાવી દીધી છે.
જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12ની પરિક્ષા પૂર્ણ થાય એટલે તરત જ મધ્યસ્થ મુલ્યાંકનની પ્રક્રિયા શરૂ થાય છે.આ કામગીરી આખા રાજ્યમાં શરૂ થાય છે. રાજકોટમાં પણ મધ્યસ્થ મુલ્યાંકનના કેન્દ્ર આવેલા છે.ધોરણ 10 અને 12 બોર્ડના કુલ 23 કેન્દ્રો રાજકોટમાં છે.
આ તમામ કેન્દ્રો પર આજથી તબક્કાવાર મધ્યસ્થ મુલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે.આ કામગીરીમાં સરકારી, અર્ધ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વ નિર્ભર શાળાના લગભગ અઢીથી 3 હજાર શિક્ષકોને આ કામગીરી કરવા માટે આદેશ આપાવમાં આવ્યાં છે.
આ આદેશ વહેલા આપી દેવામાં આવ્યા હોવાથી ઘણા શિક્ષકોએ પોતાની કામગીરી મુલતવી રાખવા અથવા મુક્તિ આપવા માટે રજુઆત કરી છે. રાજકોટ જિલ્લામાંથી 30 જેટલી રજુઆત મળી હતી. જેમાંથી 4-5 કેસમાં જરૂર જણાતા તેમને મુક્તિ આપવામાં આવી છે.બાકીનાની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવી નથી.
મધ્યસ્થ મુલ્યાંકનમાં દરેક શિક્ષકે જોડાવું ફરજીયાત છે.કારણ કે બાળકો ગમે તે શાળાના હોય પણ તટસ્થ અને સારી રીતે મુલ્યાંકન થાય એ વધારે જરૂરી હોય છે.એટલે જો કોઈ કિસ્સામાં મુક્તિ આપવી જણાઈ તો જ જે તે શિક્ષકને મુક્તિ આપવામાં આવે છે.
જે શાળામાંથી મધ્યસ્થ મુલ્યાંકન માટે શિક્ષકના નામ રજુ કરવામાં આવ્યાં હોય તેને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે એટલે મોટભાગે કોઈ શિક્ષક મધ્યસ્થ મુલ્યાંકન દરમિયાન રજા રાખતા નથી અને જો કોઈ રજા રાખે, તો જે-તે શાળાને નોટિસ આપવામાં આવે છે અને એ શિક્ષકને દંડ કરવામાં આવે છે.આ સાથે જ વધારે શિક્ષક આવુ કરે તો જે તે સ્કુલના વર્ગ ઘટાડવામાં આવે છે.