Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાંથી ફરી એકવાર 108ની સરાહનીય કામગીરી સામે આવી છે. 108ની ટીમે રાજકોટમાં એક 84 વર્ષીય વૃદ્ધાને તાત્કાલિક રાજકોટ એરપોર્ટ પર પહોંચાડીને ત્યાંથી મુંબઈ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. 108ની આ કામગીરી બદલ તેમની સરાહના કરવામાં આવી હતી.
108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર વિરલ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં 84 વર્ષીય નીતાબેન મહેયા સારવાર હેઠળ હતાં. આ દરમિયાન દર્દીને મગજમાં ચેતાતંતુના ઈન્ફેકશનના કારણે ભાન ભૂલી ગયેલા હતાં અને અચાનક તેઓ બેભાન થઈ ગયા હતા.
આ દરમિયાન તેને આંચકી અને ખેંચ ઉપડી ગઈ હોવાથી તેમને વધુ સારવાર અર્થે તાત્કાલીક મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થઈ હતી. દર્દીનો જીવ બચાવવા એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડવાનું નક્કી થયું હતું.
જેથી 108ને આ અંગે માહિતી મળતા ઈ.આર.સી.પી ડો. મહેતાના માર્ગદર્શન હેઠળ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવના ડોડીયા તેમજ પાયલોટ વિશ્વજીતભાઈએ 108 એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલથી સલામત રીતે દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતેથી એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતા.
108 ઈમરજન્સી સેવાની ઉત્કૃષ્ટ કામગીરીને પણ બિરદાવી
તમને જણાવી દયે કે આ પ્રક્રિયામાં 108 ઇમરજન્સી સેવાની ટીમે મહત્વની ભૂમિકા નિભાવી હતી. 108 ટીમની આ સેવા બદલ દર્દીના સ્વજનોએ રાજકોટની 108 ઇમરજન્સી સેવા તેમજ કોલ સેન્ટરના અધિકારીઓનો આભાર માન્યો હતો. આ સાથે જ 108 ઈમરજન્સી સેવાની ઉત્કૃષ્ટ કામગીરીને પણ બિરદાવી હતી.