Home /News /porbandar /પોરબંદરમાં કોનું પાણી મપાશે, વિઠ્ઠલ રાદડિયાની માંદગી ભાજપને નડશે?

પોરબંદરમાં કોનું પાણી મપાશે, વિઠ્ઠલ રાદડિયાની માંદગી ભાજપને નડશે?

પોરબંદર બેઠક

પોરબંદર બેઠક નીચે છેક ગોંડલથી લઇ પોરબંદર સુંધીનો વિસ્તારો આવે છે. જેમાં ખેતી, સાડીનાં કારખાના, માછીમારો અને ખેડૂતોને પ્રશ્નો વિશેષ છે.

ન્યૂઝ18 ગુજરાતી : છેક 1991થી ભાજપનો ગઢ ગણાતી આ પોરબંદર બેઠક પર આ વખતે કોનું પામી મપાશે ? કોંગ્રેસે ધોરાજીનાં ધાસાસભ્ય લલિત વસોયાનો મેદાને ઉતાર્યા છે તો, ભાજપે ઉદ્યોગપતિ રમેશ ધડૂકને તક આપી છે. પોબંદર લોક સભા બેઠક રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લામાં વહેંચાયેલો છે પોબંદર લોક સભા બેઠક રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લામાં વહેંચાયેલો છે.  આ બેઠક પર કદાવર ખેડૂત અને લેઉઆ પટેલ નેતા  વિઠ્ઠલ રાદડિયા ચાલુ સાંસદ છે પણ તેઓ હાલ પથારીવશ છે. આથી ભાજપે અન્ય પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસમાંથી સાસંદ તરીકે ચૂંટાયા હતા પણ 2013માં તેઓ ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણીમાં જીત્યા. 2014ની લોકસભામાં પણ તેઓ ભાજપમાંથી સાસંદ તરીકે ચૂંટાયા.

આ બેઠક હેઠળ પોરબંદર, કુતિયાણા, માણાવદર, કેશોદ, ધોરાજી, જેતપુર, ગોડલ વિધાનસભા મતક્ષેત્રો આવેલા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગોંડલ, જેતપુર, કેશોદ અને પોરબંદર બેઠકો જીતી હતી ત્યારે કોંગ્રેસે ધોરાજી, માણાવદર બેઠકો કબ્જે કરી હતી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એન.સી.પી)એ કુતિયાણા બેઠક પર વિજય મેળવ્યો હતો.

પોરબંદર બેઠક પર કુલ 1660932 મતદારો છે. જેમાં 863973 પુરુષ મતદારો છે જ્યારે 797647 મહિલા મતદારો છે. સાત મતદારો થર્ડ જેન્ડર તરીકે પણ નોંધાયેલા છે.

શું છે મુખ્ય સમસ્યાઓ ?

પોરબંદર બેઠક નીચે છેક ગોંડલથી લઇ પોરબંદર સુંધીનો વિસ્તારો આવે છે. જેમાં ખેતી, સાડીનાં કારખાના, માછીમારો અને ખેડૂતોને પ્રશ્નો વિશેષ છે. ખેડૂતોને તેમની ખેત પેદાશનાં ભાવ મામલે નારાજગી રહી છે. માછીમાર સમુદાયને સ્થાનિક કક્ષાએ જેટીની સુવિધા મળતી નથી. નજીકનાં દરિયામાં પ્રદૂષણને કારણે માછલી ઓછી થતા તેમને છેક આતંર રાષ્ટ્રિય જળસીમા સુંધી જવુ પડે છે. જેતપુરમાં સાડીનાં કારખાનાઓને દ્વારા ભાદર નદીમાં છોડવામાં આવતા પ્રદૂષિત પાણીને કારણે સ્થાનિક જળસ્ત્રોતો બગડી ગયા છે. તેમના ભુગર્ભજળ લાલ થઇ ગયા છે. વરસાદ આધારિત ખેતી છે.



 જાતિગત સમીકરણો:

આ બેઠક પર પટેલો (4.24 લાખ), કોળી (1.45 લાખ), અન્ય પછાત વર્ગો (2.54 લાખ), મુસ્લિમો (1..30 લાખ), મેર (1.35 લાખ અને દલિતોનાં 1.64 લાખ મતો છે. વર્ષોથી આ બેઠક પર પટેલ ઉમેદવાર જીતે છે. આ વખતે પણ બંને પાર્ટીએ પટેલ ઉમેદવારને જ ટિકીટ આપી છે. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક એનસીપીને ફાળવી હતી. એનસીપીનાં ઉમેદવાર કાંધલ જાડેજા વિઠ્ઠલ રાદડિયા સામે ચૂંટણી લડયા હતા અને હારી ગયા હતા.

સાંસદનું રિપોર્ટ કાર્ડ :

65-વર્ષનાં વિઠ્ઠલ રાદડિયા સતત બે ટર્મથી પોરબંદરનાં સાસંદ છે. સ્થાનિક રીતે તેમની લોકપ્રિયતા અકબંધ કરી છે પણ સંસદમાં તેમની હાજરી નહીવત રહી છે. પી.આર.એસ લેજીસ્લેટીવ રિસર્ચનાં આકંડાઓ મુજબ, 2014થી અત્યાર સુંધીમાં રાદડિયાએ સંસદમાં માત્ર 14 ટકા જ હાજરી આપી છે અને એક પણ સવાલ તેમણે પુછ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ઘણા સમયથી બિમાર છે અને જાહેરમાં તેમને લોકોએ જોયા પણ નથી. તેમના દિકરા જયેશ રાદડિયા જેતપુરથી ધારાસભ્ય છે અને રાજ્યમાં કેબિનેટ પ્રધાન છે.

 કોની વચ્ચે છે જંગ?

કોંગ્રેસે તેના ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાને મેદાને ઉતાર્યા છે. 2015માં હાર્દિક પટેલને શરૂ કરેલા પાટીદાર અનામત આંદોલનમાં લલિત વસોયા સક્રિય રીતે જોડાયા હતા અને સૌરાષ્ટ્રમાં પાસને મોટુ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. 2017ની વિધાનસભા બેઠકમાં કોંગ્રેસે વસોયાની ટિકીટ આપી અને તેઓ જીત્યા પણ ખરા. હવે તેઓ સંસદની ચૂંટણી લડી રહ્યા છે. સામે પક્ષે ભાજપનાં રમેશ ધડૂકને ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતનાં કદાવર નેતાઓને ટેકો છે. બીજી તરફ, આ બેઠક હેઠળ આવતી માણાવદર બેઠકનાં કોંગ્રેસનાં નેતા જવાહર ચાવડાને ભાજપમાં ભેળવી દીધા છે અને માણાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે.

અનુમાન :

કોંગ્રેસનાં લલિત વસોયાને યુવાનો, કોંગ્રેસની પરપંરા વોટબેંક અને ખેડૂતોની નારાજગી પર આધાર રાખવો પડશે જ્યારે ભાજપનાં ઉમેદવાર મોદીનાં માને મત માગે છે અને સ્થાનિક ભાજપનાં નેતાઓનું તેમને પીઠબળ મદદરૂપ થશે. લલિત વસોયા માટે કપરા ચઢાણ છે પણ મતદારોનો મિજાજ કોઇને પણ જીતાડી શકે છે.
First published:

Tags: Gujarat Lok sabha election 2019, Saurashtra gujarat lok sabha election 2019

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો