પ્રતિશ શીલુ, પોરબંદર : પોરબંદરનાં (Porbandar) સોઢાણા ગામ નજીક ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ ગઇ હતી. જેમાં પોરબંદરનાં શિવમ કલાસીસનાં સંચાલક વિરેન મજીઠીયા તથા તેમના માતાપિતા જઇ રહ્યાં હતા. આ કાર 29 સપ્ટેમ્બરની રાતે તણાઇ હતી ત્યારે ગઇકાલે સવારે કાર પાણીનાં પ્રવાહમાંથી મળી આવી હતી. કેટલાય કલાકોથી આ ત્રણેયની શોધખોળ ચાલુ હતી જેમાં આજે વિરેન મજીઠીયાનો મૃતદેહ મળ્યો છે. જ્યારે હજી પણ માતાપિતાને એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ શોધી રહી છે.
હજી માતા પિતાની ભાળ નથી મળી
વર્તૃ -2 ડેમનાં 17 દરવાજા ખોલાવાને કારણે આ દૂર્ઘટના બનવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે પોરબંદરના એમ.જી. રોડ ઉપર શિવમ ક્લાસીસ નામનો ટયુશન ક્લાસીસ ચલાવતા લોહાણા યુવાન વિરેન મજીઠીયા અને તેના માતા-પિતા ગતરાત્રીના જામનગર તરફથી પોરબંદર આવી રહ્યા હતા. ત્યારે સોઢાણા નજીક કુંજવેલ તરીકે ઓળખાતા મુખ્ય રસ્તા ઉપર બેથી અઢી ફુટ પાણી વચ્ચે તેમની કાર તણાવા લાગી હતી. જોતજોતામાં આ કાર પાણીમાં ગરક થઈ ગઈ હતી.
કારની નંબર પ્લેટ સવારે મળી હતી તેના ઉપરથી તપાસ કરવામાં આવતા આ કાર વિરેન મજીઠીયાની જ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ માતા પિતાની હજી કોઇ ભાળ મળી નથી રહી. તેમના પરિવારનાં લોકો પણ અહીં આવી ગયા છે.