પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ફરી એક વખત ગુજરાતના માછીમારોનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. પાકિસ્તાને માછીમારી કરતી બે ભારતીય બોટ સાથે 12 માછીમારોનું અપહરણ કર્યું છે. આ પૂર્વે પણ પાકિસ્તાની મરીન દ્વારા ભારતની બોટને બંધક બનાવવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા અપહરણનો સિલસિલો યથાવત્ છે.
પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ભારતીય જળસીમા નજીકથી બોટનું અપહરણ કર્યું છે. અપહરણ કરાયેલી બોટમા 1 બોટ પોરબંદરની અને એક બોટ ઓખાની હોવાની માહિતી મળી છે. બોટ અને માછીમારોના અપહરણનો આંકડો વધે તેવી સંભાવના છે.
એક તરફ પાકિસ્તાન ભારતીય માછીમારોને છોડી રહ્યું છે અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેથી વધુ કેટલાક માછીમારોના અપહરણની ઘટના બહાર આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન મરીને ભારતીય જળસીમામાં ઘૂસીને બોટ અને અનેક માછીમારોના અપહરણ કર્યાં છે. પોરબંદર અને વેરાવળ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 5 લાખથી વધુ માછીમાર પરિવારો વસવાટ કરે છે. જેમાથી સક્રીય માછીમારો પાસે નાની મોટી માછીમારી બોટો છે.