Home /News /porbandar /પાકની નાપાક હરકત: છ માછીમારો સાથેની બોટનું પાકિસ્તાન મરીને કર્યું અપહરણ
પાકની નાપાક હરકત: છ માછીમારો સાથેની બોટનું પાકિસ્તાન મરીને કર્યું અપહરણ
પાકની નાપાક હરકત
પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી ફરી નાપાક હરકત કરી છે. જણાવી દઈએ કે, પાકિસ્તાન દ્વારા ભારતીય બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં 6 માછીમારો સવાર હોવાની વાત પણ સામે આવી છે.
પોરબંદર: પાકિસ્તાન મરીનનો આતંક યથાવત રહ્યો છે. આજે ફરી એક ભારતીય બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. માછીમારો જ્યારે દરિયામાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે અચાનક પાકિસ્તાન મરીન ત્રાટક્યું હતું અને બોટ સાથે છ માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે, બોટ ઓખા અથવા વેરાવળની હોવાની શક્યતા છે. હાલ તમામ માછીમારોને કરાચી લઈ જવાઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ આજે રવિવારે મોટી કાર્યવાહી કરી હતી. તેણે દરિયાઈ માર્ગે દેશમાં ઘૂસણખોરી કરી રહેલા 10 પાકિસ્તાનીઓને પકડ્યા હતા. કોસ્ટગાર્ડ અને ATSએ 300 કરોડની કિંમતના ડ્રગ્સ અને હથિયારો સાથે આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી 6 પિસ્તોલ અને 120 રાઉન્ડ મળી આવ્યા છે.
નોંધનીય છે કે પાકિસ્તાન મરીન અવારનવાર ભારતીય જળસીમામાં ઘૂસીને આઈએમબીએલ નજીક માછીમારી કરતા માછીમારોનું અપહરણ કરી જાય છે. દરીયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની આજીવિકાનું એકમાત્ર સાધન માછીમારી હોવાથી દર વર્ષે દરિયો ખેડતા અનેક માછીમારો પાકિસ્તાન મરીનના આતંકનો ભોગ બનતા રહે છે.
પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા અવારનવાર માછીમારો અને બોટનું અપહરણ કરવામાં આવતું હોવાથી માછીમારોમાં રોષ ફેલાયો છે. નોંધનીય છે કે પાકિસ્તાન મરીન દ્વારા પકડવામાં આવેલા ગુજરાતના અનેક માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. આ લોકોને છોડાવવા માટે સરકાર સતત પ્રયાસો કરતી રહે છે.