પોરબંદર: કોંગ્રેસ અને એનસીપીનાં ગઠબંધન થયા બાદ દરેકને પ્રશ્ન હતો કે, કાંધલ જાડેજા હવે શું કરશે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, કુંતિયાણાથી એનસીપીનાં કાંધલ જાડેજાએ ફોર્મ ભરી દીધું છે. જોકે, ફોર્મ ભર્યા બાદ તેમણે કહ્યું કે, એનસીપી અને કોંગ્રેસનાં ગઠબંધનની મને કાંઇ ખબર નથી.
'મારી પ્રફુલભાઇ સાથે વાત થઇ હતી'
ફોર્મ ભર્યા બાદ એનસીપી અને કોંગ્રેસનાં ગઠબંધન અંગે કાંધલ જાડેજાએ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યુ કે, આ વાત ખોટી છે. તમને કોણે કીધું. મને કલાકથી કાંઇ ખબર નથી. મારી પ્રફુલભાઇ સાથે વાત થઇ છે. પ્રફુલભાઇ પટેલનાં કહેવાથી જ મેં આ એનસીપીનું ફોર્મ ભર્યુ છે.
કોંગ્રસ અને એનસીપીનું ગંઠબંધન
નોંધનીય છે કે, કોંગ્રસ અને એનસીપીએ ગંઠબંધન કરી લીધું છે. તેમણે ત્રણ બેઠક નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયા માટે ગઠબંધન કરી લીધું છે. આ અંગે એનસીપીના જયંત બોસ્કી અને કોંગ્રેસનાં જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આ પહેલા પણ કોંગ્રેસ પ્રભારી સહિત નેતાઓ સાથે બેઠક થઇ હતી. ઘણાં સમયથી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનની ચર્ચા થઇ રહી હતી.
આ ગઠબંધન બાદ પ્રશ્ન એ હતો કે, કુતિયાણાથી કાંધલ જાડેજાને મેન્ડેટ નહીં આપે આ સાથે ગોંડલથી રેશ્મા પટેલને પણ NCP મેન્ડેટ નહીં આપી શકાય. આ ઉપરાંત એ પણ કહેવામાં આવ્ચું હતુ કે, જો એનસીપીનાં લોકો અપક્ષ ઉમેદવારી કરશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે. તો અહીં હવે એ જોવાનું મહત્ત્વનું રહેશે કે, કાંધલ જાડેજા વિરુદ્ધ પાર્ટી પગલાં લે છે કે સસ્પેન્ડ કરે છે કે નહીં.
આપને જણાવીએ કે, કાંધલ જાડેજા ગત બે ચૂંટણીમાં અહીંથી જીત મેળવે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ના હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી બહુમતીથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને જંગી બહુમતીથી હરાવ્યા હતા