પ્રતિશ શિલુ, પોરબંદર : જિલ્લામાં હત્યા અને આપઘાતનો એક કમાકમાટીભર્યો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં એક પિતાએ તેના બે નાના બાળકોની હત્યા કરીને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો છે. વ્યક્તિએ કયા કારણોસર આવું આત્યંતિક પગલું ભરી લીધું છે તેની કોઈ વિગત પ્રાથમિક તપાસમાં સામે આવી નથી.
ઘટનાની વિગત એવી છે કે રાણાવાવના અણીયારી ગામ ખાતે એક પિતાએ પોતાના બે બાળકોની હત્યા કરી નાખી હતી. બંને બાળકોની હત્યા બાદ પિતાએ પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
એવી પણ વિગતો મળી છે કે થોડા સમય પૂર્વે આપઘાત કરી લેનાર વ્યક્તિની પત્નીનું એક અકસ્માતમાં મોત થયું હતું. આપઘાત કરી લેનાર વ્યક્તિની આર્થિક હાલત ખૂબ સામાન્ય હોવાનું સામે આવ્યું છે.
જે પ્રકારની તસવીરો સામે આવી છે તેના પરથી લાગી રહ્યું છે કે ગળાફાંસો ખાધા પહેલા વ્યક્તિએ પોતાના હાથની નસ પણ કાપી લીધી હતી. વ્યક્તિએ પોતાના દેશી નળિયાવાળા મકાનના લાકડા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
ઘરમાંથી ત્રણ મૃતદેહની સાથે સાથે લાકડાની એક સીડી પણ મળી આવી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આપઘાત કરવા માટે દોરડું બાંધવા માટે મૃતકે આ સીડીની મદદ લીધી હશે.
બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા. મૃતક પિતાએ બાળકોની હત્યા કેવી રીતે કરી હતી તે સહિતની તમામ વિગતો પોસ્ટ મોર્ટમ બાદ સામે આવશે.