Gujarat Assembly election 2022 : ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો માહોલ અત્યારથી જામવા લાગ્યો છે. થોડા સમયમાં જ ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવશે. પરંપરાગત રીતે ગુજરાતમાં ભાજપ તથા કૉંગ્રેસ એમ મુખ્ય બે પક્ષ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવશે. અહીં અમે તમને કુતિયાણા વિધાનસભા સીટ વિશે જાણકારી આપી રહ્યા છે. આ એક એવી સીટ છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પંરતુ સતત બે ટર્મથી NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. કુતિયાણા વિધાનસભા બેઠક પરના રાજકારણ, જ્ઞાત-જાતના સમીકરણ વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
ચૂંટણીની તૈયારીઓ
જો ચૂંટણીની તૈયારીઓ વિશે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ જનસંપર્કની શરૂઆત કરી છે. કોંગ્રેસે હજુ સુધી ચૂંટણી માટે વ્યૂહરચના ઘડી હોય તેવું જણાઈ રહ્યું નથી. 182 સીટ કબ્જે કરવા માટે ભાજપે વન ટુ વન ડિસ્ટ્રીક્ટ જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી છે,
તો આમ આદમી પાર્ટીના નેતાઓએ ગામે ગામ જઈને જનસંપર્કની શરૂઆત કરી છે. વિપક્ષમાં કોંગ્રેસ પ્રભારી, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષી નેતાની નવી નિમણુંક કરવામાં આવી નથી. ગુજરાત વિધાનસભાની 182 સીટ પરની ચૂંટણીમાં કોંગ્રેસનું કેવું પ્રદર્શન રહેશે, તેના વિશે કંઈ કહી શકાય તેમ નથી.
વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ના હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી બહુમતીથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને જંગી બહુમતીથી હરાવ્યા હતા.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
કાંધલ જાડેજા
NCP
2012
કાંધલ જાડેજા
NCP
2007
કરશન ઓડેદરા
ભાજપ
2002
કરશન ઓડેદરા
ભાજપ
1998
કરશન ઓડેદરા
ભાજપ
1995
ભૂરા કડછા
IND
1990
સંતોકબેન જાડેજા
JD
1985
વિજયદાસજી મહંત
કોંગ્રેસ
1980
વિજયદાસજી મહંત
કોંગ્રેસ
1975
વેજાભાઈ કંબાલિયા
કોંગ્રેસ
1972
અરજણ વેજા
કોંગ્રેસ
1967
બી.બી. ગજેરા
SWA
1962
માલદેવજી ઓડેદરા
કોંગ્રેસ
જાતિ આધારિત મતદારોનું સમીકરણ
કુતિયાણા વિધાનસભા બેઠક પર મહેર જ્ઞાતિ અને ત્યારબાદ કોળી જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ વધુ છે.
ગોડમધરના પુત્ર છે કાંધલ જાડેજા
કુતિયાણા મતવિસ્તારમાં સંતોકબેન જાડેજા અને સરમણ મુંજાના પુત્ર કાંધલ જાડેજા NCPની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. કાંધલ જાડેજા સામે અનેક ગુનાઓ દાખલ થયેલા છે.
દેવુ અને કરશન વાઘેરે પોરબંદર શહેર પર કાળા બજાર અને ખંડણી માટે કબજો જમાવ્યો હતો, તેઓ કામદારો ઉપર ત્રાસ ગુજરતા હતા. સરમણ મુંજાએ આ વાઘેર બંધુઓનો ખાત્મો બોલાવી દીધો હતો. જેથી મેર જાતિના અનેક લોકોએ સરમણને સમર્થન અને રક્ષણ આપ્યું હતું. સરમણના નામે પણ અનેક ગુનાઓ નોંધાયા હતા. રાજકીય નેતાઓએ પણ ચૂંટણી જીતવા માટે સરમણના શરણે જવું પડતું હતું.
દાયકા સુધી ગુનાહિત સામ્રાજ્ય બાદ સરમણે ધાર્મિક ચોલો પહેર્યા હતો. ત્યારબાદ તેણે જ કહ્યું હતું કે મેર જ્ઞાતિનો વ્યક્તિ જ તેની હત્યા કરશે. ત્યારબાદ કાળા કેશવે સરમણની હત્યા કરી દીધી હતી.
સરમણની હત્યા બાદ તેની પત્ની સંતોકબેન જાડેજાએ તેનું સુકાન સંભાળ્યું હતું. ત્યારબાદ હત્યાની સીલસીલો શરૂ થયો હતો અને સરમણના 6 હત્યારાઓની હત્યા કરી દેવામાં આવી હતી. સરમણ જાડેજા અને સંતોકબેન જાડેજા પર ગોડમધર નામની ફિલ્મ પણ બનાવવામાં આવી છે.
ત્યારબાદ સરમણ જાડેજાનો ભાઈ ભૂરા મુંજા યુ.કેથી પરત આવી ગયો હતો અને તેણે પણ બદલો લેવાની શરૂઆત કરી હતી. સંતોકબેન જાડેજા ગુનાની દુનિયા ઉપરાંત ટ્રાન્સપોર્ટ વ્યવસાય અને રાજકારણને સારી રીતે સમજી શકી અને તેનો તેણે અમલ પણ કર્યો હતો અને સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું.
આ લોહિયાળ લડતમાં વર્ષ 2006માં કાંધલ જાડેજાની પત્ની રેખા જાડેજાની ધોળા દિવસે રાજકોટમાં હત્યા કરી દેવામાં આવી હતી.
સંતોકબેન જાડેજા વર્ષ 1990માં વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી જનતા દળ પક્ષમાંથી ઉભા રહ્યા હતા બહુમતીથી જીત્યા હતા. ગોડમધર સંતોકબેન સામે તેમની ગુનાખોરીને લઈને આકરી કાર્યવાહી શરૂ કરતાં તેઓ પોરબંદર છોડીને રાજકોટ આવી ગયા હતા.
વર્ષ 1995માં સરમણ મુંજાના ભાઈ ભુરા મુંજા જાડેજાએ કુતિયાણા બેઠક જીતી હતી અને થોડા વર્ષો બાદ જાહેર જીવનમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.
કુતિયાણા વિધાનસભા બેઠક પર ભાજપનું કદ
1990થી 2007 સુધી ભાજપમાંથી કુતિયાણા બેઠક કરસન દુલા ઓડેદરાનો વિજય થયો હતો. કરસન દુલા ઓડેદરા ભીમા દુલા ઓડેદરાનો ભાઈ છે. ભીમા દુલા ઓડેદરાના પિતરાઈ ભાઈ બાબુ બોખીરીયાનું રાજકીય વર્ચસ્વ વધતા ભીમા ઓડેદરાને તેનો ફાયદો થતો હતો.
ભીમા દુલા ઓડેદરા અને બાબુ બોખીરીયા પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ વિસ્તારમાં ચૂનાનો પથ્થર અને બોકાસાઈટ, ચોકની કિંમતી ખાણો પર કબજો જમાવી દીધો હતો. ચૂનાની ખાણ અને ચાકની ખાણનો પથ્થર સોડા એસ અને સિમેંટ બનાવવા માટે થાય છે. ખાડીના દેશો અને દક્ષિણ-પૂર્વ એશિયામાં બોક્સાઈટનો મોટો જથ્થો નિકાસ કરવામાં આવે છે.
કુદરતી ખનિજની ખાણ ઉપર પોરબંદરમાં ગેરકાયદે ટર્નઓવર રૂ. 180 કરોડ છે. બોખીરીયા, ભીમા દુલા ઓડેદરા અને તેનો પુત્ર લક્ષ્મણ ઓડેદરા અને પૂર્વ સાંસદ ભરત ઓડેદરા સામે અનેક આક્ષેપો મુકવામાં આવ્યા છે. પોરબંદરમાં મોટા પ્રમાણમાં, સેંકડો કરોડો રૂપિયાના ગેરકાયદે ખનન પ્રવૃત્તિના કૌભાંડ થયા હોવાની આશંકા છે.
ગુજરાત હાઈકોર્ટે ભીમા દુલા ઓડેદારાએ 2004માં કરેલી બેવડી હત્યાના કેસમાં ગુનેગાર જાહેર કર્યો હતો અને તેને આજીવન કેદની સજા આપવામાં આવી છે. આ એક એવો કેસ છે કે જેમાં ઓડેદરાને સજા થઈ છે. જેના કારણે પોરબંદરમાં બાબુ બોખીરીયા અને કુતિયાણામાં લક્ષ્મણ ઓડેદરાની ખરાબ છાપ ઊભી થતા તેમણે વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.