Home /News /porbandar /ગુજરાતમાં પાક નિષ્ફળ જવાના ડરે વધુ એક ખેડૂતનો આપઘાત

ગુજરાતમાં પાક નિષ્ફળ જવાના ડરે વધુ એક ખેડૂતનો આપઘાત

રાણાવાવ, સુરેન્દ્રનગર, દ્વારકા અને અમરેલીના ખેડૂતો આપઘાત કર્યો.

રાજ્યમાં 17 દિવસમાં પાક નિષ્ફળ જવાના ડરને કારણે અથવા પાક નિષ્ફળ જવાથી પાંચ ખેડૂતોએ આપઘાત કરી લીધો.

પોરબંદરઃ રાજ્યમાં પાક નિષ્ફળ જવાને ડરથી વધુ એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. હવે પોરબંદરના રાણાવાવના ખેડૂતે પાક નિષ્ફળના ડરથી જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી પ્રમાણે વિરમ ઓડેદરા નામના 54 વર્ષીય ખેડૂતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. વિરમ ઓડેદરા રાણાવાવના મહીરા ગામના નિવાસી છે. રાજ્યમાં 17 દિવસમાં પાક નિષ્ફળ જવાના ડરને કારણે અથવા પાક નિષ્ફળ જવાથી પાંચ ખેડૂતોએ આપઘાત કર્યાના સમાચાર મળ્યા છે.

રાજ્યમાં ત્રણ દિવસમાં પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતના આપઘાતનો આ બીજો બનાવ બન્યો છે. સાતમી ઓક્ટોબરના રોજ ગઢડાના ગુદાળા ગામ ખાતે એક ખેડૂતો પાંચ વિઘાનો પાક નિષ્ફળ જતાં આપઘાત કરી લીધો હતો.

રાજ્યમાં આપઘાતના બનાવો

25મી સપ્ટેમ્બરઃ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી અનકભાઇ ગભરુભાઇ જેબલીયા (ઉ.35) નામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળુ આવતું હોવાથી હિંમત હારી આપઘાત કરી લીધો હોવાનું પિતરાઇ ભાઇએ પોલીસને જણાવ્યું હતું.

29મી સપ્ટેમ્બરઃ દ્વારકાના બેહ ગામના ખેડૂતને ડર હતો કે તેમનો પાક નિષ્ફળ જવાનો છે. આ ડરથી જ ખેડૂતે ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ મામલાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી.

1 ઓક્ટોબરઃ સુરેન્દ્રનગરના વેજલકા ગામના ઝરમરિયા શંકરભાઇ મનજીભાઇ નામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ખેડૂતે ભાવનગરના સિહોર જઇને આપઘાત કરી લીધો હતો. ભાવનગરના સિહોરમાં સંબંધીના ખેતરમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

7મી ઓક્ટોબરઃ ગઢડાના ગુદાળા ગામના એક ખેડૂતે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળના કારણમાં ઓછા વરસાદને કારણે પાંચ વિઘાનો પાક નિષ્ફળ જતા અંતિમ પગલું લીધાનું સામે આવ્યું હતું. આ મામલે ગઢડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

ખેડૂત આપઘાતમાં ગુજરાત ચોથા ક્રમે

તાજેતરમાં સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે દુષ્કાળ, પાક નિષ્ફળ જવાથી કે દેવામાં ડૂબી જવા સહિતના કારણોને લીધે ખેડૂતોનાં મોત અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો 2014થી 2017 દરમિયાન 132 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. 2014થી 2016 દરમિયાન 1177 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2015ના વર્ષ કરતા વર્ષ 2016માં 35.5 ટકાનો વધારો થયો હતો. આ આંકડા એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
First published:

Tags: આત્મહત્યા, ખેડૂત, ગુજરાત