પ્રતિશ શીલુ, પોરબંદર : આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (Mahatma Gandhi) 150મી જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણી ( CM Vijay Rupani) પોરબંદરનાં (Porbandar) કિર્તીમંદિર ખાતે પહોંચ્યાં છે. જ્યાં સીએમ રૂપાણી ગાંધીજીનાં જન્મસ્થળે પુષ્પાંજલી અર્પીને સર્વધર્મ પ્રાર્થનામાં ઉપસ્થિત રહ્યાં છે. તેમની સાથે કથાકાર રમેશ ઓઝાએ પણ ખાસ હાજરી આપી છે. તેમના ઉપરાંત મંત્રી જવાહર ચાવડા, સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા પણ હાજર રહ્યાં છે.
દરવર્ષની જેમ આ વર્ષે પણ કિર્તી મંદિરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સીએમ વિજય રૂપાણીએ બાપુ અને કસ્તુરબાનાં તૈલીય ચિત્રને નમન કરીને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. જે બાદ તેઓ પ્રાર્થના સભામાં બેસીને ભાવથી ગાંધીજીનાં ભજનો સાંભળી રહ્યાં છે.
મુખ્મમંત્રી આ કાર્યક્રમ પૂર્ણ કરીને સવારે 9 કલાકે ચોપાટી ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ સમારોહ પણ યોજાશે. જે બાદ 10 કલાકની આસપાસ અષ્માવતી રિવરફ્રન્ટનું લોકાર્પણ કરશે. જ્યાં તેઓ જાહેર સભા પણ સંબોધશે.