Home /News /porbandar /પોરબંદરઃ અભિનેત્રી જુહી ચાવલાના પતિના રાણાવાવ સ્થિત બંગલાને તોડી પાડવા નોટિસ

પોરબંદરઃ અભિનેત્રી જુહી ચાવલાના પતિના રાણાવાવ સ્થિત બંગલાને તોડી પાડવા નોટિસ

પ્રતીશ શીલુ, પોરબંદર

રાણાવાવ નગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીને ગેરકાયદેસર બાંધકામ કરવાને લઈને નોટીસ ફટકારવામાં આવી છે. તો કંપની દ્વારા એવુ જણાવવામાં આવી રહ્યુ છે કે કંપનીની અંદર કોઈપણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યુ નથી અને રાણાવાવ નગરપાલિકા દ્વારા જે બાંધકામ પાડવાને લઈને જે નોટીસ અપાઈ છે તે અંગેનો રાજકોટ પ્રાદેશીક કમીશ્નર કચેરીએ વચગાળાનો મનાઈ હુકમ પણ કરેલો છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીને રાણાવાવ પાલિકા દ્રારા ગેરકાયદેસર બાંધકામને લઈને નોટીસ ફટકારવામાં આવી છે. પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટીસમાં જણાવાયું છે કે કંપનીના ડાયરેકટ જય મહેતાના હિલ બંગલા તરીકે ઓળખાતા આખા બંગલાનું બાંધકામ ગેરકાયદેસર છે અને તે અંગે અગાઉ પણ કંપનીને નોટિસ પાઠવી હતી છતા ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ સબંધે આખરી નોટિસ આપવામાં આવે છે.

રાણાવાવ નગરપાલિકાના એન્જીનીયર સંજય મકવાણાએ જણાવ્યું કે કંપની દ્વારા ગત 24-07-2018ના રોજ જે પરવાનગી માંગેલી છે તેમાં ડાયરેકટર જયભાઈ મહેતાના બંગલા સબંધે કોઈ પરવાનગી માંગી નથી અને તેમ છતા હાલ આખો બંગલો નવેસરથી બની રહ્યો છે. આ કારણે નગરપાલિકા અધિનિયમની જોગવાઈ નીચે ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની પાલિકાને સત્તા હોય અને તે રીતે કાયદા મુજબની કાર્યવાહી મુજબની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ નોટીસમાં ઉલેખ્ખ કરવામાં આવ્યો છે.

રાણાવાવ નગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીને આપવામાં આવેલી નોટીસ અંગે એચ.આર અને એડમીન વિભાગના કંપનીના આસીસ્ટન્ટ વાઈસ પ્રેસીડન્ટ સંજય જોષીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતુ કે,રાણાવાવ નગરપાલિકા દ્વારા હીલ બંગલાને લઈને નોટીસમાં એવું જણાવ્યું છે કે, આ બંગલાનું નવું બાંધકામ થઈ રહ્યું છે જેની પરવાનગી માંગવામાં આવી નથી પરંતુ હકીકતે એવું નથી, આ બંગલો નવો નથી તે 50 વર્ષ જુનો બંગલો છે તેમાં કોઈ બાંધકામ નહી પરંતુ કલર અને રીનોવેશન જ કર્યુ છે અને આ રીનોવેશન કરવામાં કોઈ પરવાનગીની જરુર પડતી નથી અને આ અંગે અમોએ રાણાવાવ નગરપાલિકાને જવાબ પણ આપેલો છે. આ પહેલા પણ રાણાવાવ નગરપાલિકાએ જે નોટીસ આપી હતી તે અંગે રાજકોટ ખાતે આવેલા પ્રાદેશીક કમિશ્નર દ્વારા પાલિકાને કોઈ પણ કાર્યવાહી કરવા પર કામચલાઉ સ્ટે આપ્યો છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવા ખાતે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીને રાણાવાવ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવાને લઈને આ બીજી વખત નોટીસ આપવામાં આવી છે જ્યારે કંપની દ્વારા તેઓએ કોઈપણ ગેરકાયદેસર બાંધકામ નહી કર્યાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે હાલ તો બંન્ને પક્ષો એકબીજાને સાચા-ખોટા ઠેરવી રહ્યા છે.
First published: