શીલુ પ્રતિશ, પોરબંદર : કુતિયાણા નાગર પાલિકાના એન.સી.પીના સભ્ય અસલમ ખોખરને ટાર્ગેટ કરીને 8-10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂની અદાવતમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે પાલિકા પ્રમુખના પુત્ર સહિત અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ કુતિયાણા પાલિકાના એનસીપીના સભ્ય અસલમ ખોખરને નિશાન બનાવીને કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, ફાયરિંગ સમયે અસલમ ખોખર હાજર ન હોવાથી જાનહાની થઈ ન હતી.
ફાયરિંગ બાદ ત્રણ લોકોને માર મરાયો હતો. આ ત્રણેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે 20થી વધુ લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે કુતિયાણાના છ વોર્ડની 24 બેઠક માટે ગત વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મુખ્ય ફાઇટ ભા.જ.પા અને એન.સી.પી વચ્ચે હતી. ચૂંટણીમાં ભા.જ.પનો વિજય થયો હતો. હાલ કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ પદે ઢેલીબેન ઓડેદરા તથા ઉપપ્રમુખપદે બાબુભાઇ ઓડેદરા બિરાજમાન છે.
પોરબંદરમાં ત્રણ લોકોને માર મરાયો
બીજા એક બનાવમાં પોરબંદરની જૂની કોર્ટ નજીક મારામારીનો બનાવ બન્યો છે. અંગત અદાવતને લઈને મારામારી થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એક વૃદ્ધ અને બે યુવાનને માર મારવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે બંને જૂથોની ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે. આ સંદર્ભે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.