ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં તમામ રાજકીય પાર્ટી પોતપોતાની રીતે સક્રિય થઇ ગઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેતા રહે છે. તમામ 182 બેઠકોની સ્થિતિનો ક્યાસ કાઢવા માટે તાજેતરમાં જ ભાજપે વરિષ્ઠ નેતાઓને અલગ અલગ જિલ્લાઓમાં મોકલ્યા હતા.
આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાન એ જંગમાં સામેલ થઈ છે અને ચૂંટણી પહેલા વિવિધ જાહેરાતો કરી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અલગ-અલગ રણનીતિ બનાવીને કામ કરી રહ્યુ છે. વધુમાં વધુ લોકો પક્ષ સાથે જોડાય અને સ્થાનિક પ્રશ્નો તથા સમસ્યાઓ ઉઠાવવા માટે ચર્ચા કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકોનું વિશ્લેષણ કરીને તેનો ચિતાર અહી રજૂ કરવાના આવે છે. ચૂંટણીના આ ધમધમાટ વચ્ચે આજે અમે આપની માટે શહેરા વિધાનસભા બેઠકની સ્થિતિ અંગે જાણકારી લઈને લાવ્યા છીએ.
શહેરા વિધાનસભા બેઠક
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં શહેરા આવેલું છે. શહેરા તાલુકા મથક છે અને તેને પંચમહાલના મુખ્ય શહેરોમાંથી એક ગણવામાં આવે છે. જે લુણાવાડા ગોધરા માર્ગ પર આવેલું છે અને વ્યાવસાયિક અને સામાજિક કેન્દ્ર છે. શહેરા વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ પંથકમાં મુખ્યત્વે કપાસ, તુવેર અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. કેટલાક ગામના લોકો પિયતની સગવડ મેળવીને શેરડી, કેળા, ડાંગરની પણ ખેતી કરે છે.
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં શહેરા વિધાનસભા બેઠક 124માં ક્રમાંકે છે. શહેરા વિધાનસભા બેઠક પર સતત ચાર ટર્મ (2002- 2007- 2012- 2017) સુધી ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. જેઠાભાઈ ભરવાડ સતત વર્ષ 1998થી 2017 સુધી પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે.
વર્ષ 1998માં જેઠાભાઈ ભરવાડ સમાજવાદી પક્ષ તરફથી ચૂંટાઈને આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2002માં જેઠાભાઈ ભારતીય જનતા પાર્ટી તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારથી લઈને વર્ષ 2017 સુધી જેઠાભાઈ આ બેઠક પર જીતતા આવ્યા છે અને વર્ચસ્વ ધરાવી રહ્યા છે.
શહેરા વિધાનસભા બેઠક પર હાર-જીતના પરિણામ
શહેરા વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ કોંગ્રેસી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણને જંગી લીડથી હાર આપી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ જેઠાભાઈએ કોંગ્રેસ ઉમેદવાર તખતસિંહ સોલંકીને હરાવીને જીત મેળવી હતી. શહેરામાં બારીયા ક્ષત્રીય સમાજનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે. આ બેઠક પર બારીયા ક્ષત્રીય સમાજના 60 ટકા મતદારો છે.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
જેઠાભાઈ આહિર (ભરવાડ)
ભાજપ
2012
જેઠાભાઈ આહિર (ભરવાડ)
ભાજપ
2007
જેઠાભાઈ આહિર (ભરવાડ)
ભાજપ
2002
જેઠાભાઈ આહિર (ભરવાડ)
ભાજપ
1998
જેઠાભાઈ આહિર (ભરવાડ)
SP
1995
સોમસિંહ ચૌહાણ
ભાજપ
1990
જસવંતસિંહ પરમાર
કોંગ્રેસ
1985
જસવંતસિંહ પરમાર
કોંગ્રેસ
1980
પર્વતસિંહ પરમાર
કોંગ્રેસ
1975
દાતાભાઈ પરમાર
કોંગ્રેસ
1972
પ્રતાપસિંહ પટેલ
કોંગ્રેસ
1967
પર્વતસિંહ પરમાર
કોંગ્રેસ
1962
પર્વતસિંહ પરમાર
કોંગ્રેસ
શહેરા વિધાનસભા બેઠક અપડેટ
તાજેતરમાં શહેરાના સુરેલી ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જનસંપર્ક અને જનસંવાદ બેઠક કરી હતી. જેમાં 25 જેટલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસ તથા ગોધરા વિધાનસભાના સંગઠનમંત્રી આસીફ બકકરે તમામ વ્યક્તિઓને પાર્ટી લક્ષી માહિતી આપી હતી. પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારિયાએ જણાવ્યું હતું કે, , પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક વિસ્તારમાં આમ આદમી પાર્ટી રાજકીય પરિવર્તન લાવવા માટે સજાગ અને સક્રિય થઇ રહી છે.
શહેરાની સમસ્યાઓ
શહેરા તાલુકાના સંભાલી સહિતના ગામમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ ગામમાં પાણીને લગતી તમામ યોજનાઓ છે, તેમ છતાં પાણી ના મળવાને કારણે મહિલાઓએ હેન્ડ પંપમાંથી પાણી ભરવાનું રહે છે. કૂવા અને હેન્ડ પંપના પાણીના સ્તર ઊંડા જઈ રહ્યા છે અને પાણીની સમસ્યા વધુ વિકટ બની રહે છે. ખેડૂતોને ખેતી કરવામાં તકલીફ પડી રહી છે તથા પશુઓ પાણી વગર ટળવળી રહ્યા છે. શહેરામાં પાણી ઉપરાંત રોડ રસ્તાઓ, ગટર ઊભરાવવાની અને ટ્રાફિકની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે.
જેઠાભાઈ આહિર રિપોર્ટ કાર્ડ
શહેરા ભાજપ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. તેઓ પંચમહાલ ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે. તેઓ 1998થી 2017 સુધી પાંચ વાર શહેરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. વર્ષ 1998માં જેઠાભાઈ ભરવાડ સમાજવાદી પક્ષ તરફથી ચૂંટાઈને આવ્યા હતા. વર્ષ 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને અને કોંગ્રેસ ઉમેદવાર છત્રસિંહને હરાવ્યા હતા. ત્યારથી લઈને વર્ષ 2017 સુધી જેઠાભાઈ આ બેઠક પર જીતતા આવ્યા છે.
ધારાસભ્ય જેઠાભાઈ આહિર વિવાદોની જાળમાં ફસાયા
શહેરા ભાજપ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પર ગેરકાયદે બાંધકામનો આરોપ મુકવામાં આવ્યો છે. વિપક્ષના નેતાઓએ આરોપ મુક્યો છે કે, જેઠાભાઈએ વન વિભાગની જમીન પર કબ્જો કરીને મકાન બનાવ્યું હોવાનું કહેવાય છે. શહેરામાં ચાંદણગઢ ગામમાં આવેલી વન વિભાગની જમીન પણ પચાવી પાડી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
જેઠાભાઈએ આ તમામ આરોપો ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું છે કે, મારા પર જે વ્યક્તિએ આરોપ મુક્યા છે, તે વ્યક્તિ જે.બી.સોલંકી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને મને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.
પંચમહાલ લોકસભા બેઠક
પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં શહેરા, બાલાસિનોર, લુણાવાડા, ઠાસરા, મોરવા હડફ (ST), ગોધરા અને કલોલ વિધાનસભા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ લોકસભા બેઠક પરથી વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રતનસિંહ રાઠોડે કોંગ્રેસ ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણને જંગી બહુમતીથી હરાવ્યા હતા.