ગુજરાત વિધાનસભાની 2022ના (Gujarat Assembly election 2022) અંતમાં થનારી ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતાની તૈયારીઓમાં લાગી ગયું છે. ગુજરાત ભાજપનું ગઢ હોવા છતાં રાજકારણની દ્રષ્ટિએ અહીં રાજકીય ગરમાવો હંમેશા જોવા મળે છે. એવામાં દરેક બેઠકનું આગવું મહત્વ છે. વાત કરીએ પંચમહાલ જિલ્લાના કાલોલ બેઠક (kalol assembly constituency) અંગે.
કાલોલ (kalol) ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે પંચમહાલ જિલ્લાની વિધાનસભા બેઠક છે. આ વિધાનસભા બેઠક મત વિસ્તાર પ્રમાણે સંપૂર્ણ કાલોલ તાલુકો અને ઘોઘંબા તાલુકાના ગામો પણ આવરી લે છે.
આ મત વિસ્તારમાં કાલોલ અને ઘોઘંબા તાલુકાઓ ગામડાઓનો થાય છે સમાવેશ
કાલોલ બેઠકના મતદારો (Voters of Kalol constituency)
કાલોલ બેઠક પર કુલ 2,33, 692 મતદારો છે જેમાં પુરુષ ઉમેદવારો 120398, જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 112300 છે. જાતિવાદી સમીકરણની રીતે જોઈએ તો અહીં બક્ષીપંચ 58%, એસ.સી 7%, પટેલ 5.5%, એસ.ટી 18%, વણિક 3.30%, રાજપૂત 2.8% અને અન્ય જ્ઞાતિ 0.6%નો સમાવેશ થાય છે.
મોટા માર્જિન સાથે બીજેપીએ મેળવી હતી જીત
આ બેઠક પર 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચૌહાણ સુમનબેન પ્રવિણસિંહે કોંગ્રેસના પરમાર પ્રદ્યુમનસિંહ વિજયસિંહને 49277 મતથી હરાવીને વિજયી થયા હતા. એ પહેલાં 2007 અને 2012માં ભાજપના રાઠોડ અરવિંદસિંહ સતત બે ટર્મ કાલોલ બેઠકના ધારાસભ્ય રહ્યા હતા. તેમના પહેલાં કાલોલ બેઠક પર પ્રભાતસિંહ ચૌહાણ, જે ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે, તે સતત ત્રણ ટર્મ ભાજપ તફથી કાલોલ બેઠક પર વિજયી થયા હતા.
પ્રભાતસિંહ ચૌહાણ 2009 અને 2014ની લોકસભાની ચૂંટણી માં ભાજપ તરફથી જીતીને 15મી અને 16 મી લોકસભામાં રાજ્યમંત્રી રહ્યા હતા. તેમને શિક્ષણ અને ગ્રામવિકાસના કાર્યોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. હાલના ભાજપના ધારાસભ્ય સુમનબેન તેમના પુત્રવધુ છે, પરંતુ 2017ની ચૂંટણીઓમાં કાલોલ વિધાનસભા બેઠક પરથી જયારે અરવિંદસિંહ રાઠોડની જગ્યાએ ભાજપે સુમનબેન ચૌહાણને ટિકિટ ફાળવી ત્યારે તેઓ નારાજ થયા હતા.
તેમની પત્નીના સ્થાને પુત્રવધુને ટિકિટ ફાળવવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા અને પક્ષને ચેતવણી આપી હતી કે લોકલ ઉમેદવાર અરવિંદસિંહના સ્થાને સુમનબેનને ટિકિટ ફાળવવામાં આવશે તો કાલોલમાં ભાજપની જીત થઇ શકશે નહીં. જોકે, તેમની ચેતવણી બાદ પણ સુમન બેને મોટા માર્જિન સાથે જીત મેળવી હતી.
કાલોલ બેઠકના લોકોની સમસ્યા (problem of Kalol sitting people)
આ બેઠક પર ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ પીવાના પાણીની સમસ્યા, રોડની સમસ્યા, તેમજ આ વિસ્તારમાં ઘણો મોટો ભાગ ઔદ્યોગિક હોવા છતાં સ્થાનિક લોકોને કાયમી નોકરી આપવામાં આવતી નથી. બેઠકના લોકોની સમસ્યાને નજરમાં રાખીને આમ આદમી પાર્ટીએ પણ અહીં જીત મેળવવા માટે કામગીરી શરૂ કરી છે.
આવનારી ચૂંટણી માટે ‘આપ’ પણ પોતાના પ્રતિનિધિઓને તૈયાર કરી રહ્યું છે. દરેક વિધાનસભા બેઠક દીઠ સન્માન સમરંભ યોજાઈ રહ્યા છે. કાલોલમાં જૂન મહિનામાં જ નવ નિયુક્ત પદાધિકારોના સન્માન માટે પંચમલહાલ લોકસભાના પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં શ્રી આપેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં બેઠક યોજાઈ હતી. જેમાં 50 જેટલા ગામના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહીં કાલોલ વિધાનસભા સંગઠન મંત્રી ઉત્સવ પટેલ, અરવિંદભાઈ પરમાર વગેરે નેતાઓનું સન્માન કર્યું હતું.
જ્યારે ભાજપના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ દ્વારા ગત ફેબ્રુઆરીમાં નવ નિયુક્ત સરપંચોનું બેઢીયા જલારામ મંદિરના સાનિધ્યમાં સન્માન કરવાં આવ્યું હતું.
બેઠક જીતવા કોંગ્રેસ એક્ટિવ મોડમાં
બીજી બાજુ કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે. કાલોલ સરદાર ભવન ખાતે કોગ્રેસની મીટીંગ યોજાઇ હતી. જેમાં ગ્રામ પ્રમાણે શહેર વોર્ડ મુજબ 11 સંનિષ્ઠ કાર્યકરોની સંગઠન રચના કરવી, તેમજ આગામી વિધાનસભા ચૂંટણીને લક્ષમાં લઈ સંગઠન ચૂંટણીલક્ષી કામગીરી ગ્રામ વિસ્તાર સુધી વિસ્તારવી, વિધાનસભા લડવા ઇચ્છતા ઉમેદવારોએ અત્યારથી વિસ્તારમાં સક્રિય રહી પ્રજાના નાના-મોટા પ્રશ્નો મુશ્કેલીઓ નિવારવા, ઉપરાંત કાર્યક્રમો ગોઠવી લોક સંપર્ક ઝડપથી બનાવવા અંગે નવા યુવાનોને તક આપી કોંગ્રેસ વિચારસરણી સાથે જોડાવા બાબતે પક્ષની મળેલી મિટિંગમાં ઉપયોગી જરૂરી ચર્ચા વિચારણા થઇ હતી. આ મીટીંગમાં કોગ્રેસ પ્રમુખ સહીત મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો હોદેદારો કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરમાં જ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે આપેલ સુચના કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણ, મોઘવારી, બેરોજગારી, નવયુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ અગ્નિપથ યોજના જેવા મુદ્દાઓ સરકાર સામે સમગ્ર જિલ્લામાં ઘરણા પ્રદર્શન વિરોધ નોંધાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આગામી દિવસોમાં આ પ્રકારના વધુ કાર્યક્રમો પણ આપવામાં આવશે તેમ જિલ્લા કોંગ્રેસના અગ્રણી આગેવાના રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા જણાવાયું હતું.
કોંગ્રેસ કાલોલ પ્રદેશમાં હંમેશા સક્રિય રહી છે, તેઓ વર્ષોથી ખેડૂતો, આદિવાસીઓ અને પાણીના મુદ્દે વિરોધ પક્ષ તરીકે પ્રજાના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતાં રહ્યા છે. તેથી આગામી ચૂંટણીઓમાં તેમને સારા દેખાવની આશા હોઈ શકે છે.
ભાજપ બીજી બાજુ 2022ની ચૂંટણી માટે કોને ટિકિટ ફાળવવી બાબતે ચર્ચા વિચારણા કરવી પડ્શે. અનુસૂચિત જાતિ અને જનજાતિના મતદારોનું સમીકરણ હોઈ આદિવાસીઓના વણઉકેલાયેલા પ્રશ્નો ભાજપ માટે પડકાર બની શકે છે. ભાજપના હાલના ધારાસભ્યંને પ્રદેશમાંથી સારો ટેકો હોવા છતાં કોંગ્રેસ અને આપની ગતિવિધિઓ જોતા ભાજપ નવા ઉમેદવાર ને પણ લાવવાનું વિચારી શકે છે.