Home /News /panchmahal /ખેડૂતને વીજ થાંભલા ઉપરથી વીજ કરંટ આપવાનું ભારે પડ્યું, એક યુવકનું મોત થતા કોર્ટે કરી 10 વર્ષની સજા
ખેડૂતને વીજ થાંભલા ઉપરથી વીજ કરંટ આપવાનું ભારે પડ્યું, એક યુવકનું મોત થતા કોર્ટે કરી 10 વર્ષની સજા
આરોપીને થઈ 10 વર્ષની સજા
Panchmahal Latest News: ખેતરમાં જંગલી પશુઓ અને ભૂંડથી થતાં પાક ભેલાણને અટકાવવા અજમાવવામાં આવેલો ખેડૂતને તુક્કો મોંઘો સાબિત થયો છે. એક નિર્દોષ યુવકે અજાણતામા જીવ ગુમાવ્યો છે. જયારે ખેડૂતને જાણતો હોવા છતાં કરવામાં આવેલી હરક્તને લઈ દોષિત સાબિત થવું પડ્યું છે.
રાજેશ જોશી, પંચમહાલ: ગેરકાયદેસર રીતે ખેતર ફરતે લોખંડના તાર બાંધી વીજ થાંભલા ઉપરથી વીજ કરંટ આપવાનું ભારે પડી શકે છે જેનું જીવંત ઉદારહણ પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યું છે. શહેરાના આસુદરિયા ગામે ખેતરમાં જંગલી પશુઓ અને ભૂંડથી થતાં પાક ભેલાણને અટકાવવા અજમાવવામાં આવેલો ખેડૂતને તુક્કો મોંઘો સાબિત થયો છે. એક નિર્દોષ યુવકે અજાણતામા જીવ ગુમાવ્યો છે. જયારે ખેડૂતને જાણતો હોવા છતાં કરવામાં આવેલી હરક્તને લઈ દોષિત સાબિત થવું પડ્યું છે. જેથી આવી હરકતો કરતા અન્યો માટે આ લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય છે.
10 વર્ષની સજા સાથે 10 હજારનો દંડનો હુકમ કરાયો
ઇલેકટ્રીક થાંભલા ઉપર ચાલુ વીજ પ્રવાહ વાળા વાયરો ગોઠવી બેદરકારી દાખવવાના કેસમાં ગોધરા એડી.સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી 10 સખ્ત કેદની વર્ષની સજા અને દશ હજારનો દંડનો હુકમ કર્યો છે. બનાવની વિગત એવી છે કે, શહેરા તાલુકાના આસુદરીયા ખાતે રહેતાં પુનાભાઈ કાળુભાઈ મછારે પોતાના ખુલ્લા ખેતરોમાં પાકને વન્ય પ્રાણીઓ તેમજ ભૂંડથી બચાવવા માટે ખેતરમાંની ઈલેકટ્રીક થાંભલા ઉપર જીવંત વીજ પ્રવાહના વાયરો સાથે વીજ વાયરોનું જોડાણ કર્યુ હતું. ત્યારબાદ આ જીવંત વીજ કરંટ સાથેના વાયરો ખેતરમાં મુક્યા હતા.
આ વીજ વાયરો કોઈ પણ વ્યક્તિને જાણ ન થાય એવી રીતે મુક્યા હતા. સાથે જ આ વીજ કરંટ મુકવાથી કોઈપણ વ્યકિતનું સંપર્કમાં આવતાં મોત થાય કે શારીરીક ઈજા થવાની પોતાને જાણકારી હોવા છતાં વીજ કરંટ ખુલ્લા સેન્ટીંગના તારમાં મૂકી બેદરકારી દાખવી હતી. આ બેદરકારીના કૃત્યનો ભોગ 38 વર્ષીય મગનભાઈ હમીરભાઈ બન્યા હતા. મગનભાઈને અજાણતાથી વીજ કરંટ લાગતા તેઓનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પુનાભાઈ સામે શહેરા પોલીસ મથકે સાપરાધ મનુષ્ય વધની જોગવાઈ મુજબ ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ પંચમહાલ જીલ્લાના સેશન્સ કોર્ટના પાંચમા એડી. સેશન્સ જજ એચ.પી.મહેતા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો.
દરમિયાન ફરીયાદ પક્ષે સરકારી વકીલ એમ.કે.દેશમુખ દ્વારા ફરીયાદી, ડોકટર તેમજ સાહેદોની જુબાનીના આધારે સરકારી ધારદાર દલીલ કરવામાં આવી હતી. આ દલીલ અને કેસની બાબતોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આઇપીસી કલમ-304ના ગુનામાં તકસીર વાન ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને દશ હજાર રૂપિયા દંડનો ચુકાદો આપ્યો છે. જેથી પોતાના ખુલ્લા ખેતરોમાં વીજ લાઈન સાથે ચેડાં કરતાં અને જીવતા વાયરો લટકાવતા ઈસમોમાં ભયનો મોહોલ ઉભો થયો છે.