ન્યૂઝ18 ગુજરાતી: પંચમહાલની બેઠક પર આ વખત ભાજપે ફેરફાર કર્યા છે અને જનતાએ તે ફેરફાર આવકાર્યો છે. હાલમાં ભાજપનાં રતનસિંહ રાઠોડ 50,000 મતથી આગળ ચાલી રહ્યા છે.
પંચમહાલ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપનાં પ્રભાતસિંહ ચૌહાણ વિજેતા રહ્યા હતા પરંતુ તેમની ઉંમરને કારણે ભાજપે આ બેઠક પર ફેરફાર કર્યો છે અને મહીસાગર વિધાનસભા બેઠક પર અપક્ષ ચૂંટાઈને ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય રતનસિંહ રાઠોડની આ બેઠક પર પસંદગી કરાઈ છે. જ્યારે કોંગ્રેસે વી.કે. ખાંટને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પંચમહાલ લોકસભા અંતર્ગત સાત વિધાનસભા બેઠકો આવે છે જેમાં ઠાસરા, બાલાશિનોર, લુણાવાડા, શહેરા, મોરવાહડફ (એસ.ટી.), ગોધરા અને કાલોલનો સમાવેશ થાય છે. જેમાં ભાજપ અનેઅપક્ષ મળીને ૪ તથા બેઠક કોંગ્રેસ ફાળે ૩ વિધાનસભા બેઠક છે
જો મતોનું સમિકરણ જોઈએ તો ત્રણ જિલ્લાની સાત વિધાનસભામાં કુલ ૧,૬૮૩,૬૩૧ મતદારો છે. પંચમહાલ બેઠક પર ત્રણ જિલ્લાની વિધાનસભાનો સમાવેશ હોવાથી આ બેઠક જીતવા માટે ઉમેદવારની ત્રણે જીલ્લાના મતદારો પર પક્કડ હોવી જરૂરી છે.
સાંસદનું રિપોર્ટ કાર્ડ ૨૦૦૯ અને ૨૦૧૪ ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ બે વખત જીત્યા છે. પોતાનાં બટકબોલા નિવેદનો અને પારિવારિક પ્રશ્નોને કારણે હંમેશા ચર્ચામાં રહેલા પ્રભાતસિંહ ઘણુંખરું તેમના વિસ્તારનો વિકાસ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે.
ઉમેદવારની મિલકત અને ભણતર ભાજપનાં રતનસિંહ રાઠોડ BA B.edનો અભ્યાસ કરેલો છે. તેમની મિલકતની વાત કરીએ તો તે 56.20 કરોડ રૂપિયા છે. કોંગ્રેસનાં ઉમેદવાર વીકે ખાંટ 9મું ધોરણ પાસ છે અને તેમની પાસે 17.30 કરોડ રૂપિયાની મિલકત નોંધાઇ છે.
કોની વચ્ચે છે જંગ? કોંગ્રેસ તરફથી વી કે ખાંટ છેલ્લા ૩૫ વર્ષથી કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર અને ૧૦ વર્ષથી મોરવા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. વર્ષ ૨૦૦૨ માં મોરવા હડફની મોરા તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટાયા બાદ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે રહી ચુક્યા છે. વર્ષ ૨૦૧૨ માં વી કે ખાંટની પત્ની સવિતાબેન ખાંટ મોરવા હડફ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ તેમનું નિધન થતા વર્ષ ૨૦૧૩ પેટા ચુંટણી યોજાઈ હતી.
ગત ૨૦૧૭ વિધાનસભાની ચુંટણીમાં ખાંટના પુત્ર ભુપેન્દ્રસિંહ ખાંટ મોરવા હડફ વિધાનસભા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટાઈને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. ભાજપ ઉમેદવાર તરીકે આ વખતે પ્રભાતસિંહના સ્થાને રતનસિંહ રાઠોડ છે. રતનસિંહ રાઠોડ મૂળ શિક્ષણ સાથે જોડાયેલા છે. લુણાવાડા તાલુકાના લકડીપોયલા ગામની શાળામાં આચાર્ય હતા. તેમણે તેમની કારકિર્દી સરપંચ તરીકે શરૂ કરી હતી.
અનુમાન: આ બેઠક પર ભાજપનું પ્રભુત્વ છે ત્યારે આ બેઠક શું ફરી એક વખત ભાજપનાં ફાળે જશે કે નહીં તે જોવું રહેશે.