પંચમહાલ: પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખએ રાજીનામું આપી દેતા હલચલ મચી ગઇ છે. મૂળ શિક્ષક હોવાનાં કારણે રાજકારણમાં ફાવટ ન આવવાનું કારણ બતાવી આમ આદમી પાર્ટીનાં પંચમહાલ જિલ્લાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ હોવાનું તેમણે જણાવ્યું છે.
ગતરોજ ઘોઘંબા કાનપુરનાં વતની દિનેશ બારીયાએ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટીને પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું હતું કે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીમાં પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રમુખ તરીકે તેઓ ડિસેમ્બર ૨૦૨૦ થી દિનેશભાઈ બારીયા જવાબદારીમાં હતા. ત્યાર થી લઈને અત્યાર સુધીમાં તેમણે પ્રમુખ તરીકેની નિષ્ઠા પૂર્વક જવાબદારી નીભાવી તેમજ હંમેશા સંગઠન લક્ષી તેમજ પાર્ટી નાં પ્રચાર પ્રસાર ની કામગીરી તેમણે પોતાની ક્ષમતા અનુસાર કરી છે.
પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખએ રાજીનામું આપી દેતા હલચલ મચી
તેમજ તેમણે ઉમેર્યું કે, હાલ તેમને એવું લાગે છે કે, તેઓ પોતે શિક્ષક હોવા નાં કારણે શિક્ષક તરીકે નાં તેમનાં સ્વભાવ નાં કારણે રાજકારણમાં તેઓ ચાલી શકે તેમ નથી. તેથી તેઓ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામુ આપે છે તેવું તેમણે આમ આદમી પાર્ટી નાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી ને લખેલા પત્રમાં જણાવ્યું હતું.
એક તરફ ચૂંટણીઓની રસાકસીઓ રાજકારણમાં જોવાઈ રહિ છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આ ત્રીમૂખી રાજકારણમાં કોંગ્રેસ એક તરફ કાચું પડી રહ્યું છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીમાં પણ આ પ્રકાર ના ગાબડાં અન્ય પક્ષોને મજબુત બનાવવા માટે કાફી છે. આમ આદમી પાર્ટીનાં પંચમહાલ જિલ્લાનાં પ્રમુખ દ્વારા શિક્ષક હોવા નાં કારણે રાજકારણમાં ના બંધ બેસવાનું ખોખલું કારણ વ્યક્ત કર્યું છે ત્યારે હવે પછીનાં જિલ્લા પ્રમુખ કોણ બનશે તેની લોકચર્ચા ઓ શરૂ થઈ જવા પામી છે.