યશવંત પટેલ, પાટણ: રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના તમામ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘમહેર થઈ રહી છે. ત્યારે પાટણ જીલ્લા અને સુરેન્દ્રનગરમાં વરસાદી આફતથી કુલ ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, જેમાં બે લોકોના વીજળી પડવાથી મોત થયા છે, તો એક બાળકનું દિવાલ ધરાશાયી થતા મોત નિપજ્યું છે.
સૌપ્રથમ જો પાટણમાં વીજળી પડવાથી મોતના મામલે વાત કરીએ તો, પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. પાટણ જીલ્લાના તમામ ગામોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાંતલપુરના ઝઝામ ગામમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે. જેમાં એક મહિલા અને એક યુવકનું મોત નિપજ્યું છે.
ઘટનાને વિગતે જોઈએ તો, ઝઝામ ગામમાં બે અલગ અલગ જગ્યા પર વિજળી પડી, જેમાં બે લોકોના મોત થયા છે. આ બંને લોકો ખેતરમાં ભાગીયા તરીકે અલગ અલગ ખેતરમાં કામ કરી રહ્યા હતા, તે સમયે અચાનક વીજળી પડતા તેમનું મોત થયું છે. બંને મૃતક ઠાકોર સમાજના હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના સર્જાયા બાદ અન્ય હાજર સ્થાનિકોએ તેમને તુરંત નજીકમાં વારાહી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તબીબોએ તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કરાયા હતા. પોતાના પરિવાર માટે રોજી કમાવવા માટે બહાર નીકળ્યા હતા, પરંતુ વીજળી કાળનો કોળીયો બની તેમના પર તૂટી પડતા ઠાકોર પરિવારમાં માતમ છવાયો છે.
આ બાજુ સુરેન્દ્રનગર જીલ્લાના લખતરના ભાસ્કર પરામાં ભારે વરસાદને પગલે દિવાલ ધરાશાયી થતા એક બાળકનું મોત થયું છે. બાળક ઘરમાં હતું તે સમયે ભારે વરસાદને પગલે ઘરની દિવાલ ધોવાઈ જતા, ગર ધરાશાયી થયું હતું, જેમાં બાળકનું દટાઈ જવાથી મોત નિપજ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર