અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ભાજપે પોતાના બંને ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં એસ. જયશંકર અને જુગલજી ઠાકોરના નામની પસંદગી કરવામાં આવી છે. આવતી કાલે મંગળવારે બંને ઉમેદવારો ગાંધીનગરથી ઉમેદવારી પત્ર ભરશે. 5 જુલાઈના રોજ રાજ્યસભા માટે વોટિંગ થશે.
કોણ છે જુગલજી ઠાકોર?
જુગલજી ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો જાણીતો ચહેરો છે. જુગલજી મથુરજી ઠાકોરનો જન્મ 15 જાન્યુઆરી 1970ના રોજ થયો. જુગલજીને લોકો જુગલ લોખંડવાલા તરીકે પણ ઓળખે છે. જુગલજી પૂર્વ અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ડિરેક્ટર અને ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી હતા.
જુગલજીને ઠાકોર સમાજમાં ભામાશા તરીકે પણ ઓળખવામાં આવે છે
જુગલજીના પિતા મથુરજી ઠાકોર ઠાકોર સમાજમાં શેઠ તરીકે ઓળખાતા હતા. જુગલજીને ઠાકોર સમાજમાં ભામાશા તરીકે પણ ઓળખવામાં આવે છે. જુગલ ઠાકોર પાટણ જિલ્લામાં શિક્ષણ અને સમૂહ લગ્ન જેવી સામાજીક પ્રવુતિ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક જીતાડવામાં જુગલજી ઠોકોરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. જુગલજી ઠાકોરે અલ્પેશ ઠાકોરની સામે વિકાસ મંચની રચના કરી હતી. જુગલજી ઠાકોર અગાઉથી જ ભાજપ સાથે જોડાયેલા છે. તેમણે ગત લોકસભા વખતે પાટણની સીટ પર ટિકિટ માંગી હતી, અગાઉ બહુચરાજી વિધાનસભાની પણ ટિકિટ માંગી હતી. જુગલજી ટાકોર પહેલાથી જ ભાજપ સાથે જોડાયેલા છે. પાટણ લોકસભા ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીની પાટણ સભા વખતે નરેન્દ્ર મોદીને હેલિપેડ પર આવકારવાની જવાબદારી જુગલજી ઠાકોરને જ આપવામાં આવી હતી.