ગુજરાતની ચૂંટણી (Gujarat election)માં સરકારના વિકાસ કામો સાથે જે તે મતવિસ્તારમાં ધારાસભ્યોના પ્રયાસ અને પ્રેરણાથી થયેલ વિકાસકામો પણ મહત્વના હોય છે. રાજ્યમાં સરકાર (Government) ભલે ગમે તે પક્ષની હોય, ચૂંટણીમાં નાગરિકો પોતાના ક્ષેત્રમાં થયેલ કામો પર નજર નાખીને જ મત આપે છે. ભાજપ (BJP)અને કોંગ્રેસમાં (Congress) લોક હિતને ધ્યાનમાં રાખી કામ કરતા હોય તેવા ઘણા નેતાઓ છે. આ કારણે જ તેઓ પોતાના વિસ્તારમાં લોકચાહના ધરાવે છે. આજે અહીં આવા જ એક નેતા કિરીટ પટેલ (Congress leader Kirit patel) અંગે વાત કરવામાં આવી છે.
કોણ છે કિરીટ પટેલ?
કિરીટ પટેલને દિગ્ગજ પાટીદાર નેતા કહેવાય છે અને હાલ તેઓ પાટણના ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. પાટણ પર ભાજપનો છેલ્લા 27 વર્ષથી કબજો હતો. પરંતુ 2017 માં થયેલા પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી અને કોંગ્રેસ તરફથી રહેલા કિરીટ પટેલે ભાજપના રણછોડ દેસાઇને 25 હજાર જેટલા મતથી હરાવ્યા હતા. આટલી જંગી લીડથી પ્રથમ વખત જ કોઇ ઉમેદવાર વિજય થયા હતાં. જે ભાજપ માટે મોટો ઝટકો હતો.
કિરીટ પટેલનું અંગત જીવન
કિરીટ પટેલનો જન્મ 28 ઓગસ્ટ 1970ના રોજ ઉમરેચા ખાતે થયો હતો. તેમના પિતાનું નામ પટેલ ચીમનલાલ વિઠ્ઠલદાસ હતું. જ્યારે તેમના પત્નીનું નામ મીનાબેન છે. કિરીટ પટેલના દાદા ,દાદી મૂળે વાલમના હતા અને વડનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. તેમના પિતાએ સતલાસણા તાલુકાના ઉમરેચા જેવા નાના ગામડામાં ડોકટર બની માનવ સેવા કરી હતી. ગઠવાડા વિસ્તારમાં આજેય દરેક સ્વ. ચીમનભાઈને યાદ કરે છે. તેઓ જીવનભર ભાડાના મકાનમાં રહ્યા હતા અને સાત્વિક જીવન જીવ્યા હતા.
કિરીટ પટેલનું શિક્ષણ અને બાળપણ અરવલ્લીના પહાડોમાં પસાર થયું હતું. આર્થિક ખૂબ પછાત પણ માનવતામાં મોખરે આ વિસ્તારે બાળપણથી જ ધારાસભ્ય કિરીટ પટેલમાં સાહસ, નીડરતાના ગુણોનું સિંચન કર્યું હતું. તેઓ ખેરાલુ કોલેજમાં બી.એ વિથ અંગ્રેજી સાથે સ્નાતક થયા હતા અને યુનિવર્સિટીમાં તેઓ બીજા સ્થાને આવ્યા હતા. તેમણે મકતુપુર મામાના ઘરે રહી પાટણ આર્ટ્સ કોલેજમાં એમ.એ અને વિસનગર બી.એડ કર્યું હતું.
કિરીટ પટેલની કારકિર્દી અને કાર્યો
તેમણે શરૂઆતમાં મકતુપુરની હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે નોકરી કરી હતી. ત્યારબાદ 1995-96ના અરસામાં ઍપટેક કોમ્યુટર સેન્ટર હેડ તરીકે પાટણમાં આગમન થયું હતું. તે સમયે ગામડામાં કમ્પ્યુટર નવું નવું આવ્યું હતું. પાટણમાં રહી એલએલબી, એલએલએમ અને પીએચ. ડીનો ઉચ્ચ અભ્યાસ કરી પાટણ લો કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. આ દરમિયાન તેમણે પાટણમાં જન સેવાના કામ પણ શરૂ કર્યા હતા. આ સેવા યાત્રા દરમિયાન એપટેચ કમ્પ્યુટ સેવાનું કેન્દ્ર બન્યું હતું. તેમણે સ્કૂલ ,કોલેજના વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉકેલવા, ભૂકંપ, પુર જેવી આફતોમાં સહાય કરવી જેવા ઘણા કામ કર્યા હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન તેમના પર ઘણા આક્ષેપ પણ થયા હતા.
પાટણ, બનાસકાંઠામાં પુર આવ્યું ત્યારે તેમના સેવા યજ્ઞના વખાણ થયા હતા. રન ફોર યુનિટી કાર્યક્રમ પણ તેમના સહયોગ થકી ખૂબ સફળ રહ્યા હતો. વર્ષ 2017 સુધી તેમનું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણ ન હતું. આ દરમિયાન કોંગ્રેસ પક્ષે 2017માં વિધાનસભા પાટણના ઉમેદવાર જાહેર કર્યા હતા. આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસે મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતર્યા હતા.પાટણમાં કોંગ્રેસ ધારાસભ્ય 30 વર્ષ પછી આવ્યા અને એ પણ 25 હજાર કરતાં વધુ મતોથી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
કિરીટ પટેલની સંપત્તિ
ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કિરીટ પટેલે એફિડેવિટના માધ્યમથી પોતાની સંપત્તિ જાહેર કરી હતી. જે મુજબ તેમના હાથ પર રૂ.28000ની રોકડ હતી. અલગ અલગ બેંક ખાતામાં તેમની 2.16 લાખથી વધુ થાપણો હતી. આ ઉપરાંત વીમા-નાણાકીય ખાતામાં રોકાણ તરીકે 20.50 લાખ હતા. તેમજ અલગ અલગ શેર પણ તેમના નામે હતા. તેમના એકટીવા અને 20 ગ્રામ સોના સહિત કુલ 25.91 લાખથી વધુની જંગમ મિલકત હતી. બીજી તરફ તેમના નામે 60 લાખની સ્થાવર મિલકત હતી. આ ઉપરાંત સ્વોપાર્જીત સ્થાવર મિલકત રૂ.6 લાખથી વધુની હતી.
હાર્દિક પટેલ સાથે સારા સંબંધો
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે પણ ખુબ જ નજીકનો સંબંધ હોવાનું માનવામાં આવે છે. હાલ હાર્દિક ભાજપમાં છે, પણ એક સમયે બંને વચ્ચે ગાઢ સંબંધ હોવાના ઘણા દાખલા સામે આવ્યા છે.
ઉત્તરપ્રદેશના અભ્યાસ માટેના પ્રતિનિધિ મંડળમાં સ્થાન મળ્યું
થોડા સમય પહેલા યુપીના અભ્યાસ માટે પ્રતિનિધિ મંડળની રચના કરવામાં આવી હતી. આ પ્રતિનિધિ મંડળમાં ધારાસભ્ય કિરીટ પટેલને સ્થાન મળ્યું હતું. રાજ્ય વિધાનસભા અધ્યક્ષા ડૉ. નિમાબેન આચાર્યના નેતૃત્વના આ પ્રતિનિધિ મંડળ યુપી ગયું હતું. જેમાં વિરોધપક્ષના ધારાસભ્ય તરીકે સૌથી વધુ અભ્યાસુ એવા પાટણના જાગૃત ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ ઉપરાંત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ, વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ,ધારાસભ્યો રમણભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી, સંગીતાબેન પાટીલ સાથે વિધાનસભાના સચિવ અને અન્ય ચાર જેટલા ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
તર્કબદ્ધ રજૂઆતોથી લોકપ્રિય બન્યા
રાજકારણમાં ડોક્ટર કિરીટ પટેલ પોતાની અભ્યાસ પૂર્ણ અને તર્કબદ્ધ રજૂઆતોથી વિધાનસભામાં લોકપ્રિય બન્યા હતા. વિધાનસભા સત્રમાં ડો. કિરીટ પટેલે પાટણ વિધાનસભા મત વિસ્તાર ઉપરાંત રાજ્યના ખેડૂતો વિદ્યાર્થીઓ બેરોજગારો માટે રજૂઆતો કરતાં બોલકણા ધારાસભ્ય તરીકેનું બિરુદ પણ મેળવ્યું છે. તેઓની સ્પષ્ટ અને તર્કસંગત દલીલોને કારણે વિધાનસભાના અધ્યક્ષે પણ તેઓની નોંધ લીધી છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વર્ષ 2019માં ચાલુ વિધાનસભામાં ડૉ. કિરીટ પટેલને પત્ર પાઠવી પ્રજા લક્ષી રજુઆત માટે અભિનંદન પાઠવ્યા હતા. આવું આજના રાજકારણમાં બનવું દુર્લભ છે.
સતત લોકોના સંપર્કમાં
કિરીટ પટેલ ચૂંટાયા બાદ મતવિસ્તારમાં સતત એક્ટિવ રહે છે. તેઓએ મતદારો સાથે સીધા સંપર્કો બનાવી રાખ્યા છે. જેના કારણે તેઓએ ભારે લોકપ્રિયતા મેળવી છે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ તરફથી પુનઃ તેઓને જ ટિકિટ આપવામાં આવનાર હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
કિરીટ પટેલ ભાજપમાં જોડાશે?
કિરીટ પટેલે થોડા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાતને લઇને અનેક તર્ક વિતર્ક થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન કીરીટ પટેલના નાના ભાઇ દીલીપ પટેલની સિન્ડીકેટ સભ્ય તરીકે નિમણુંક થતાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસ અને ભાજપના બંન્ને નેતાઓને આંચકો લાગ્યો હતો. સાથે-સાથે કિરીટ પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ તેજ બની હતી. તેઓ ભાજપમાં જોડાશે તો પોતાની ટિકિટ જશે તેવો ભય પાટણના નેતાઓમાં હોવાનું જાણવા મળે છે.