ગાંધીનગર : આજથી સાત દિવસ અગાઉ ગાંધીનગર સિવિલમાં હોસ્પિટલમાંથી નવજાત બાળકનું અપહરણ કરી નર્સ તરીકેની ઓળખ આપી અજાણી મહિલા ફરાર થઈ જતા સેકટર -7 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો . જે અન્વયે 12 અલગ અલગ ટીમો બનાવીને 200 CCTV ફુટેજ તેમજ 500 જેટલા રિક્ષાચાલકોની ઉડાણપૂર્વકની પૂછપરછ કર્યા બાદ ફળદાયી હકીકત મળતા બાળકના અપહરણની ઘટનાને અંજામ આપનાર મહેસાણાના પ્રેમી પંખીડાને પાલનપુરથી ઝડપી લઈને બાળકને તેની માતા સાથે મિલન કરાવી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાહતનો દમ લીધો હતો.
ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ચોકડી પાસે કાચા છાપરામાં રહેતા મૂળ રાજસ્થાનના 19 વર્ષીય રાકેશ મીઠુંનાથ કાલબેલિયાની પત્ની ગાયત્રીને પ્રસુતિની પીડા ઉપડતાં ગત તારીખ 28 માર્ચના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી . જ્યાં ગાયત્રીએ દીકરાને જન્મ આપ્યા બાદ 31 માર્ચના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
તે દરમિયાન એક અજાણી મહિલા અભણ દંપતિ પાસે આવીને પોતે નર્સ હોવાની ઓળખ આપી હોસ્પિટલમાંથી બાળકની દેખરેખ માટે ઘરે આવતી હોવાનું જણાવી ખિલખિલાટ વાનમાં બેસી ગઈ હતી અને બીજા દિવસે બાળકનું ચેકઅપ કરવાં માટે લઈ આવી સિવિલ હોસ્પિટલથી બાળકનું અપહરણ કરી ફરાર થઈ જતાં સેકટર -7 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાંથી નવજાત બાળકના અપહરણની ઘટનાને ગંભીરતાથી લઇ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ LCB - 1 , LCB - 2 , SOG અને સેક્ટર-7 સહિતના પોલીસ જવાનોની અલગ - અલગ બાર ટીમોને એક્ટિવ કરી હતી . આ ટીમોને ડીવાયએસપી એમકે રાણા દ્વારા સતત સીધું માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું અને આ ટીમો દ્વારા કરવામાં આવતી તમામ કામગીરીનું પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પળે પળની માહિતી મેળવવામાં આવતી હતી.
આરોપીઓ બનાસકાંઠાના વડગામ તાલુકાના વગદા ગામે હોવાની માહિતી મળતા જ બે ટીમ બાતમી વાળા ખેતરે તાબડતોડ દોડી ગઈ હતી અને અપહરણ કરનાર મહિલા તેમજ તેના પ્રેમીને ઝડપી લઈ બાળકનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો .
નવજાત બાળકનો કબજો મેળવ્યા બાદ એલસીબીએ મહેસાણા કડી તાલુકાના રાજપુર ગામના અસ્મિતા ડાયાભાઈ ભારતી 30 વર્ષ તેમજ તેના પ્રેમી જીગ્નેશ જગદીશ ભારથીની ધરપકડ કરી હતી . જેમની ઉડાણપૂર્વકની પૂછપરછ કરતા જણાયું હતું કે અસ્મિતાને તેના પતિથી ચાર સંતાનો છે . જ્યારે તેના પ્રેમી જીગ્નેશને પણ પહેલી પત્નીથી ત્રણ દીકરીઓ છે .
બંનેને પોત પોતાના પતિથી પત્નીને મનમેળ ના આવતા લગ્નનો અંત લાવ્યો હતો અને ફૂલહાર કરીને પતિ પત્નીની જેમ જ રહીને નવેસરથી ઘર માંડયું હતું.પ્રેમી પંખીડા અગાઉના લગ્નજીવનનો અંત લાવ્યા બાદ નવેસરથી ઘરસંસાર માંડ્યો હતો પરંતુ પ્રેમી જીગ્નેશે તેની પ્રેમિકા અસ્મિતાને જણાવ્યું હતું કે , જો તને પુત્રનો જન્મ થશે તો જ તેની સાથે તે રહેશે તેવી શરત મૂકી હતી .
જોકે , અગાઉના પતિથી ચાર સંતાનો થયા બાદ બાળક રહેવાની સંભાવના નહિવત હોવાના કારણે અસ્મિતાએ સિવિલમાંથી બાળકનું અપહરણ કરવાનું નક્કી કરી અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો .
આ અંગે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ઝાલા જણાવ્યું હતું કે , ફરિયાદી બહારના રાજ્યના તેમજ અભણ હોવાના કારણે આરોપી બાબતે તેનું ચોક્કસ વર્ણન કે દેખાવ અંગે સ્પષ્ટતા થઈ શકી નહોતી.
પોલીસ ટીમે સિવિલ હોસ્પિટલ તેમજ ફરિયાદીના રહેણાંકના સરનામે ઝીણવટપૂર્વકની પૂછપરછ કરતા આરોપી મહિલાના દાત ઉપર સોનાની રેખ ચઢાવેલ હોવાનું અને મોઢા ઉપર સોનાનું નિશાન હોવાનું જાણવા મળ્યું હતું . જેના આધારે 200 જેટલા સીસીટીવી ફુટેજ તેમજ 500 જેટલા રિક્ષાચાલકોની ઉડાણપૂર્વક પૂછપરછ કર્યા બાદ ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી