ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા ( Revenue process)ના સરળીકરણ માટે વધુ એક નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપીલની સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષા ( prant officer level)એ કરવા અંગે આખરી મંજૂરી આપી છે. આ પહેલા આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો 1972-108 અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સુનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેક્ટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી.
વિજય રૂપાણીએ હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપીલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેક્ટર કક્ષાએ કરવાનો પ્રજા હિતકારી અભિગમ અપનાવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાયનલ) જાહેરનામું જારી કર્યુ છે, હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.
મુખ્યમંત્રીના આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે હક્કપત્રક એટલે ગામ નમુના નં.6 જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે 11 પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજૂર) કરવાની સત્તા નાયબ મામલતદારની છે.
ઘણી બધી વખત જુદા જુદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે.
આ પણ જુઓ- આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે. હવે, આ નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે અને મહેસૂલ વિભાગની કામગીરીનો બોજ પણ ઓછો થશે.