ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (civic body polls)ને લઈને ભાજપ (Gujarat BJP) અને કૉંગ્રેસ પક્ષે (Congress Party) તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્ય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા પણ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. હાલ 6 મહાનગર પાલિકા અને 51 નગરપાલિકાની ટર્મ પૂર્ણ થતાં ત્યાં વહીવટદારની નિમણૂક કરી દેવામાં આવી છે.
ભાજપની વાત કરવામાં આવે તો પ્રદેશ ભાજપની છેલ્લા બે વખતની રદ થતી ચિંતન બેઠક આખરે હવે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મળવા જઇ રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલે જવાબદારી સંભાળ્યા બાદ પ્રદેશ પ્રભારી સહિત પ્રદેશના મહત્ત્વના નેતાઓ સાથે ચિંતન બેઠક યોજવાની હતી. પરંતુ કોરોનાને પરિણામે બે વખત રદ થયેલી બેઠક હવે આગામી શનિ અને રવિવારના રોજ મળવા જઈ રહી છે.
હાલ પ્રદેશ ભાજપ દ્વારા 39 જિલ્લા અને શહેરના સંગઠન જાહેર કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કે ચિંતન બેઠક પહેલા ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને સંગઠનની પણ જાહેરાત થઈ જશે. ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપાના 30થી 35 અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપનું નવું સંગઠન માળખું જાહેર કરવામાં આવશે. આ ચિંતન બેઠકમાં પ્રજા લક્ષી, સંગઠન લક્ષી અને ચૂંટણી લક્ષી મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
કૉંગ્રેસ પક્ષ દ્વારા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રદેશ પ્રભારી રાજીવ છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત પ્રવાસે આવેલા છે. જે અંતર્ગત જુદા જુદા જિલ્લાના સંગઠનો સાથે મુલાકાત કરી વિધાનસભાની પેટા-ચૂંટણીમાં જે વૉટ લોસ થયો છે તેવું સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ન થાય તે માટે કવાયત હાથ ધરી છે.