Gujarat Election: જાણો કોંગ્રેસનો અભેદ કિલ્લો ગણાતી ભિલોડા બેઠક પર આ વખતે કેવી રહેશે રાજકીય સ્થિતિ?
Gujarat Election: જાણો કોંગ્રેસનો અભેદ કિલ્લો ગણાતી ભિલોડા બેઠક પર આ વખતે કેવી રહેશે રાજકીય સ્થિતિ?
ડૉ. અનિલ જોષીયારા અહીં પાંચ વખત જીતતા આવ્યા છે. તેઓ શંકરસિંહ વાધેલાની સરકારમાં આરોગ્યપ્રધાન પણ રહી ચુક્યા છે. 2012માં તે ભાજપના નીલાબેન મોડીયા સામે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની 31,543 મતોથી જીત થઇ હતી.
ડૉ. અનિલ જોષીયારા અહીં પાંચ વખત જીતતા આવ્યા છે. તેઓ શંકરસિંહ વાધેલાની સરકારમાં આરોગ્યપ્રધાન પણ રહી ચુક્યા છે. 2012માં તે ભાજપના નીલાબેન મોડીયા સામે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની 31,543 મતોથી જીત થઇ હતી.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ રાજ્યોમાં ગત વર્ષે યોજાયેલ ચૂંટણી બાદ હવે ચૂંટણીપંચે પણ ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ અને કોંગ્રેસ સાથોસાથ કેજરીવાલની આમ આદમી પાર્ટી માટે પણ ખૂબ મહત્વની છે. ઉલ્લેખનીય છે કે ભાજપ સતત 6 ચૂંટણીથી સત્તા હાંસલ કરી રહી છે, તેમ છતાં કેટલીક બેઠકો એવી છે જ્યાં આજ દિન સુધી ભાજપ પોતાનું કમળ ખિલાવી શકી નથી અને આજે પણ ત્યાં કોંગ્રેસનો જ પરચમ લહેરાય છે. આવી જ એક બેઠક એટલા ભિલોડા બેઠક જ્યાં કોંગ્રેસ ઘર જમાવીને બેઠી છે. આજના આર્ટિકલમાં આપણે ભાજપની આ બેઠક જીતવાની રણનિતી અને બેઠક વિશેની માહિતી અંગે વિસ્તૃત ચર્ચા કરીશું.
ભિલોડા બેઠક
અરવલ્લીની ત્રણ બેઠકો પૈકીની ભીલોડા વિધાનસભા બેઠક જિલ્લમાં સૌથી વધુ મતદાતાઓ ધરાવે છે. આ વિસ્તારમાં મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકો વસે છે. ગુજરાતની અને રાજસ્થાનની સરહદ પર આવેલ આ પંથકમાં છેલ્લા પાંચ ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર જીતતા આવ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પરિસ્થિતિ કંઈક જુદી જ હશે. કેમ કે છેલ્લા પાંચ ટર્મથી ચૂંટાતા આવેલા ધારાસાભ્ય ડૉ. અનિલ જોષીયારાનું નિધન થઇ ચૂક્યું છે.
મતદારો
ભિલોડા મતક્ષેત્રમાં કુલ 3,09,982 મતદારો છે, જેમાં 1,57,229 પુરૂષ મતદારો 1,52,738 સ્ત્રી મતદારો તેમજ 15 અન્ય મતદારો છે. જે ગત વખતની સરખામણીમાં 32,963 મતદારોનો વધારો સૂચવે છે.
જાતિગત સમીકરણ
જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો ભીલોડા- મેઘરજ તાલુકામાં આદિવાસી સમાજની વસ્તી વધુ છે. જેથી રાજકીય પક્ષો કેટલાય વર્ષોથી ભીલોડા મતવિસ્તારમાં આદિવાસી સમાજના ઉમેદવારોની પસંદગી કરે છે. આ ઉપરાંત ઠાકોર અને પટેલોની વસ્તી પણ નોંધપાત્ર છે. તો બીજી બાજુ મેઘરજ તાલુકામાં લઘુમતી મતો પણ કુલ મતોના 7 ટકાનું અનુમાન છે. જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકોનો પણ સમાવેશ થાય છે. આ બેઠક કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની છે.
રાજકીય સમીકરણો
આ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર સત્તા પરિવર્તન થાય તેવી શક્યતા છે. અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશિયારા તાજેતરમાં જ 1500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.
એટલે આવનાર વિધાનસભા ચુંટણીમાં હવે અહીં ખરાખરીનો જંગ થશે કેમ તેના પર સૌની નજર છે. જો ભાજપ તરફથી અનિલ જોશિયારાના પુત્રને ટિકિટ આપવામાં આવશે, તો કોંગ્રેસ માટે કપરા ચઢાણ હશે. કેમ કે, વર્ષોથી જે બેઠક અનિલ જોશિયારાના નામે રહી છે,
ત્યાં તેમનો જ પુત્ર ભાજપમાંથી ચૂંટણી લડશે. જો ભાજપ ટિકીટ આપશે તો આ તરફ કેવલ જોશિયારા માટે પણ અનેક સવાલો હશે. પિતાને વર્ષોથી જે જનતાએ મતથી વધાવ્યા, તે જ જનતા પુત્રને આપશે કે નહીં તે તો સમય જ બતાવશે.
અગાઉની ચૂંટણીના પરિણામ
ભીલોડા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ કહીએ તો અતિશયોક્તિ નથી. અહીં છેલ્લા પાંચ ટર્મથી ધારાસાભ્ય ડૉ. અનિલ જોષીયારા જીતતા આવ્યા છે. તેઓ શંકરસિંહ વાધેલાની સરકારમાં આરોગ્યપ્રધાન પણ રહી ચુક્યા છે. 2012માં તે ભાજપના નીલાબેન મોડીયા સામે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની 31,543 મતોથી જીત થઇ હતી.
નીલાબેન મોડીયાને 64,256 અને અનિલ જોષીયારાને 95799 મતો મળ્યા હતાં. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં તેમણે ભાજપના પી.સી બરંડાને 12417 મતોથી હરાવ્યા હતા. 1995માં અનિલ જોષીયારાએ ભાજપમાંથી ચૂંટણી લડીને કોંગ્રસના ઉમેદવાર ઉપેન્દ્ર ત્રિવેદીને હરાવ્યા હતા.
હાર-જીતના સમીકરણો
વર્ષ
વિજેતા ઉમેદવારના નામ
પક્ષ
2017
ડો. અનિલ જોષીયારા
INC
2012
ડો. અનિલ જોષીયારા
INC
2007
ડો. અનિલ જોષીયારા
INC
2002
ડો. અનિલ જોષીયારા
INC
1998
ઉપેન્દ્ર ત્રિવેદી
IND
1995
ડો. અનિલ જોષીયારા
BJP
1990
ઉપેન્દ્ર ત્રિવેદી
INC
1985
ઉપેન્દ્ર ત્રિવેદી
INC
1980
મનુભાઈ ત્રિવેદી
INC
1975
વ્યાસ ધનેશ્વર
NCO
1972
મુળશંકર રણછોડદાસ
INC
1967
એ જે ત્રિવેદી
SWA
1962
ગણપતલાલ ત્રિવેદી
INC
લોક માંગ
ભીલોડા વિધાનસભા બેઠકના શામળાજીમાં મેશ્વો ડેમના મધ્યમાંથી ખોદકામમાં બૌદ્ધ કલાકૃતિઓ મળી આવી હતી. ગૌતમ બુદ્ધના અવશેષો રાખેલા હોય તેવા વિશ્વના પાંચ સ્થળોમાંથી દેવની મોરી એક છે, જ્યાં દાબડામાં બુદ્ધના દાંત રાખવામાં આવ્યા હતાં. આ સ્થળે વિશાળ બૌદ્વ મંદિર બનાવવાની માંગ છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેદ્ર મોદીએ પણ રૂ. 1200 કરોડના ખર્ચ યાત્રાધામ વિકસીત કરવાની જાહેરાત કરી હતી. જોકે અગમ્ય કારણસર આ પ્રોજેક્ટને અભરાઇ પર ચડાવી દેવામાં આવ્યો છે. જે પૂર્ણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.
આ વિસ્તારમાં ધોરણ 12 સુધી શાળાઓની સુવિધા છે, જેને આગળ કોલેજ સુધી વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
જનતાના પ્રશ્નો
ભિલોડામાં કોઇ મોટું ઔદ્યોગિક એકમ નથી, તેથી ખેતી સિવાયની રોજગારી માટે યુવાનોને મુશ્કેલી પડતી હોય છે. ભીલોડા વિસ્તારમાં શિક્ષણ સુવિધા અને આરોગ્ય સુવિધાને લઇને લાંબા સમયથી મુશ્કેલી છે, જે ઉકેલવાની માંગ સતત થતી રહે છે.
આરોગ્ય સુવિધાને માટે લોકો પીએચસી સેન્ટરની સુવિધાથી ચલાવી લેવું પડે છે. સારી મોટી હોસ્પિટલ ન હોવાને કારણે કેટલીક વખત લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે.
સ્થાનિકો કહે છે સરકાર આદિવાસી વિસ્તારમાં વિકાસના મામલે બહુ જ પાછળ છે. જિલ્લો છૂટો પડ્યા બાદ અમને અહીં હોસ્પિટલ પણ નથી મળી. અમે ખુદને તરછોડાયેલા માનીએ છીએ. સાથે જ વિસ્તારમાં બસોની સુવિધા નથી તેથી લોકોને અવર જવર કરવા માટે પણ તકલીફનો સામનો કરવો પડે છે.
આવનારી ચૂંટણીમાં ખરાખરીનો જંગ
આ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર સત્તા પરિવર્તન થાય તેવી શક્યતા છે. કેવલ જોશિયારા તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે. એટલે કોંગ્રેસ માટે આ પ્રશ્ન ઉભો થયો છે કે હવે આ બેઠક પર કોને ટિકીટ આપવી. જો કોંગ્રેસ તરફથી આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો શક્યતાઓ છે કે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક ભાજપ આ વિધાનસભા ચૂંટણીમાં આંચકી જાય. આવનાર વિધાનસભા ચુંટણીમાં આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે, જેના પર સૌ કોઈની નજર રહેશે.