અરવલ્લી: રાજ્યમાં સતત પડી રહેલા વરસાદ વચ્ચે નદી-નાળા ઓવરફ્લો થઇ રહ્યા છે. નદીઓના ઘસમસતાં પ્રવાહો લોકોની ચિંતા વધારી રહ્યા છે, ત્યારે અરવલ્લીમાં હાથમતી અને ઇન્દ્રાસી નદીમાં પણ પાણીની આવક થઇ રહી છે. આવામાં હાથમતી અને ઇન્દ્રાસી નદીના સંગમ પાસે શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીં નદીના વરસાદી પાણી મંદિરાના ગર્ભગૃહમાં ભરાયા છે. જેનાથી સ્વયંભૂ ભવનાથ મહાદેવ જળમગ્ન થયા છે. સાથે ભિલોડાના જૂના ભવનાથમાં ભક્તિ સંગ કુદરતનો સંગમ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, શ્રાવણ માસમાં પૌરાણિક મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
બીજી બાજુ, અરવલ્લી જિલ્લામાં ડેમોની આવકમાં વધારો થયો છે. જેનાથી વાત્રક અને માઝુમમાં જળસ્તરમાં વધારો થયો છે. જેના લીધે આસપાસના ગામડાઓને એલર્ટ કરાયાં છે. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને લીધે વાત્રક અને માઝુમમાં 4500 ક્યુસેક પાણીની આવક થઇ છે. માઝુમ નદીમાં પાણીની આવક વધી જતાં 4500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે આસપાસના ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, 8 કલાકમાં 95 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. મહેસાણામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સરસ્વતી અને રાધનપુરમાં 2.5 ઈંચ વરસાદ, વિસનગર અને પાટણમાં 2.5 ઈંચ વરસાદ અને 24 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. મોઢેરા રોડ પર વરસાદી પાણી ભરાયા છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જોકે, અત્યંત ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલ એટલે કે 24 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. આવતીકાલથી ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર