ન્યૂઝ18 ગુજરાતી : ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત આવી ગયા છે. વાઘા બોર્ડર પર તેઓને એરફોર્સના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે. અહીંથી આર્મી દ્વારા મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયા છે.
અભિનંદનની મુક્તિ માટે બંને દેશ વચ્ચે કાગળની પ્રક્રિયા કરવામાં આવી હતી. ખતરાને ધ્યાનમાં રાખીને વાઘા બોર્ડર વિસ્તારમાં બીએસએફ તરફથી સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો એરફોર્સના ટોચના અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચી ગયા છે.
વિંગ કમાન્ડર અભિનંદન ભારતની ધરતી પર પહોંચ્યા બાદ સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ થયો હતો. નરેન્દ્ર મોદીથી લઇને ટોચના રાજકારણીઓ નેતાઓ અને ક્રિકેટ અને બોલીવૂડ સેલિબ્રિટી દ્વારા ટ્વીટ કરવામાં આવી અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
જે બોર્ડર પર અભિનંદન આવ્યા તેને વાઘા-અટારી બોર્ડર કહેવામાં આવે છે. વાઘા પાકિસ્તાન તરફથી છે, જ્યાં અભિનંદન આવી પહોંચ્યા હતા. જ્યારે અટારી બોર્ડર ભારત તરફથી છે,
સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાઘા બોર્ડર ખાતે આજે બીટિંગ રિટ્રીટને રદ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિંગ કમાન્ડર જ્યારે ભારત પરત ફરશે તે જ સમયે બોર્ડર પર નિયમિત બીટિંગ રિટ્રીટ સેરેમની થતી હોય છે. આ સમયે બોર્ડર પર ખૂબ ભીડ હોય છે. આ જ સમયે જો વિંગ કમાન્ડર ભારતમાં દાખલ થાય તો તેમના જોવા માટે લોકો પડાપડી કરી શકે છે. આ જ કારણે બીએસએફ તરફથી આજે સેરેમની ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાતે ગુરુવારે કહ્યુ હતુ કે, "શાંતિ તરફ વાતચીત શરૂ કરવાના પ્રયાસના ભાગરૂપે પાકિસ્તાન ભારતીય વાયુસેનાના અધિકારીને ભારત પરત મોકલશે."
ઉલ્લેખનીય છે કે બુધવારે ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન પોતાનું મિગ-21 ક્રેશ થયા બાદ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. જ્યાંથી પાકિસ્તાન આર્મીએ તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. જે બાદમાં ભારત તરફથી અભિનંદનને મુક્ત કરવા માટે પાકિસ્તાન પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું.
વાઘા બોર્ડર ખાતે અભિનંદનને આવકારવા પહોંચ્યા લોકો
વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાની વાતને કૂટનીતિક સ્તરે પીએમ મોદીની મોટી જીત માનવામાં આવે છે. અભિનંદન પાકિસ્તાનની આર્મીના હાથે પકડાયા બાદથી જ ભારત સરકારે તેમની મુક્તિના પ્રયાસો શરૂ કરી દીધા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ અભિનંદનને પરત લાવવાની જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને સોંપી હતી. જે બાદમાં અજીત ડોભાલે પાકિસ્તાન પર દબાણ લાવવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી હતી. જે અંતર્ગત ભારતે તેમના અનેક ભાગીદાર દેશો સાથે વાતચીત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અજીત ડોભાલે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સાથે આશરે 25 મિનિટ સુધી ફોન પર વાતચીત કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર