નવી દિલ્હી : ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ સામે લાગેલા યૌન ઉત્પીડનના આક્ષેપોની તપાસ માટે ત્રણ જજોની એક તપાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ જસ્ટિસ એસએ બોબડે કરી રહ્યા છે. જસ્ટિસ બોબડે ઉપરાંત આ સમિતિમાં જસ્ટિસ એનવી રમન્ના અને જસ્ટિસ ઇન્દિરા બેનરજી સામેલ છે. જોકે, ફરિયાદી મહિલાએ જસ્ટિસ એન વી રમન્ના સામે વાંધો ઉઠાવ્યો છે. જે બાદમાં રમન્ના આ તપાસ કમિટિમાંથી ખસી ગયા હતા. હવે એ જાણવું જરૂરી છે કે આ મહિલાને જસ્ટિસ એનવી રમન્ના સામે શું વાંધો હતો.
ફરિયાદી મહિલાનું કહેવું છે કે સીજેઆઈ રંજન ગોગોઈ અને એનવી રમન્ના ખૂબ સારા મિત્ર છે, આથી તેના કેસની સુનાવણી નિષ્પક્ષ રીતે નહીં થાય. જે બાદમાં રમન્ના તપાસમાંથી ખસી ગયા હતા. તેમની જગ્યાએ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાને તપાસ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સામે લાગેલા આક્ષેપની તપાસ હવે બે મહિલા અને અને એક પુરુષ જજ કરશે.
આ કેસની વાત કરવામાં આવે તો એક મહિલાએ ફરિયાદ કરી છે કે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ તેનું શારીરિક શોષણ કર્યું છે. આવી ફરિયાદ બાદ સીજેઆઈએ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે તેનું આખું જીવન સાદગી અને ઉચ્ચ ચરિત્રવાળું રહ્યું છે. તેમના ખાતામાં છ લાખ અને 60 હજાર જેટલી રકમ છે, જે એવું સાબિત કરવા પૂરતું છે કે તેમનું અંગત જીવન કેટલું સાદગીભર્યું છે.
સીજેઆઈ સામે આવા આક્ષેપ બાદ સુપ્રીમ કોર્ટના એક વકીલ ઉત્સવ સિંહે કોર્ટમાં એવું જણાવ્યું કે ચીફ જસ્ટિસને ખોટા કેસમાં ફસાવવા માટે અમુક લોકો 'ષડયંત્ર' રચી રહ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટે વકીલ ઉત્સવને નોટિસ મોકલી હતી અને તેના દાવાના સમર્થન માટે પુરાવા રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટે સીજેઆઈ સામે ષડયંત્રના આક્ષેપોની તપાસ પૂર્વ જસ્ટિસ પટનાયકને સોંપી હતી. સાથે જ કોર્ટે આદેશ કર્યો હતો કે આ કેસમાં CBI અને IB મદદ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર