નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લગભગ 6 કલાકની મેરથોન બેઠક યોજાઈ. આ દરમિયાન પીએમ મોદીએ સંકેત આપ્યા કે લૉકડાઉન (Lockdown)ને સમગ્રપણે નહીં હટાવવામાં આવે પરંતુ પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. તેઓએ કહ્યું કે તેમનું માનવું છે કે લૉકડાઉનના પહેલા ત્રણ ચરણમાં જે ઉપાયોની જરૂરિયાત હતી, તો ચોથામાં જરૂરી નથી. 25 માર્ચથી લાગુ 54 દિવસનું લૉકડાઉન 17 મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. કોરોના વાયરસ (Coronavirus)ને ફેલાવાથી રોકવા માટે તેને લાગુ કરવામાં આવ્યું હતું. અહીં વાંધો આ બેઠકની 10 મહત્ત્વની વાતો...
1. PM મોદીએ મુખ્યમંત્રીઓને 15 મે સુધી વ્યાપક રણનીતિ માટે સૂચનો આપ્વા માટે કહ્યું કે તેઓ પોતપોતાના રાજ્યોમાં લૉકડાઉનની વ્યવસ્થા કેવી રીતે ઊભી કરવા માંગે છે.
2. પીએમ મોદીએ સોમવારે મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ મહામારીથી ઉત્પન્ન સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી અને કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સંતુલિત રણનીતિ બનાવવાની જરૂર છે અને તેની પર ધ્યાન આપવાની જરૂર છે કે ગ્રામ્ય વિસ્તાર આ મહામારીથી મુક્ત રહે.
3. વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું કે, અમારી સામે બે પડકારો છે- આ બીમારીના સંક્રમણનો દર ઘટાડવો અને દિશા-નિર્દેશોનું પાલન કરીને સાર્વજનિક ગતિવિધિઓને ધીમે-ધીમે વધારવી તથા આપણે બંને ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે કામ કરવું પડશે.
4. PM મોદીએ કહ્યું કે, એક-બીજાથી અંતર રાખીને જ કોરોના વાયરસથી લડવા માટે ત્યાં સુધી હથિયાર છે જ્યાં સુધી વેક્સીન કે ઉકેલ નથી શોધી લેવાતો. તેઓએ કહ્યું કે, આપણે સમજવું પડશે કે દુનિયા કોવિડ-19 બાદ બદલાઈ ગઈ છે. હવે દુનિયા વિશ્વ યુદ્ધની જેમ જ કોરોના પૂર્વ, કોરોના બાદના રૂપમાં હશે. અને આપણે કેવી રીતે કામ કરીએ છીએ, તેમાં તેમાં ઘણા ફેરફાર થશે. મોદીએ કહ્યું કે જીવનનો નવો માર્ગ ‘જન સે જગ તક’ના સિદ્ધાંત પર હશે.
5. ટ્રેનો શરૂ થવાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે આર્થિક ગતિવિધિઓને વધારવા માટે આ જરૂરી હતું. પરંતુ તેઓએ સ્પષ્ટ કર્યું કે તમામ માર્ગો પર સેવાઓ શરૂ નહીં કરવામાં આવે અને સીમિત સંખ્યામાં જ ટ્રેનો દોડાવાશે.
6. વડાપ્રધાને એમ પણ કહ્યું કે, મારો દૃઢ મત છે કે પહેલા ચરણમાં જરૂરી સમજવામાં આવેલા તમામ પગલાંની બીજા ચરણમાં જરૂર નહોતી અને આવી જ રીતે ત્રીજા ચરણમાં જરૂરી સમજવામાં આવેલા પગલાંની ચોથા ચરણમાં જરૂર નથી.
આ પણ વાંચો, Fact Check: દિવસમાં 3 વાર હર્બલ ચા પીવાથી કોરોનાથી ઇમ્યૂન થઈ શકાય?
7. PM મોદીએ કોવિડ-19 સામેની લડાઈમાં તમામ મુખ્યમંત્રીઓને સહયોગ આપવા માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, હું આપ સૌને વિનંતી કરું છું કે 15 મે સુધી તમે જણાવો કે આપના રાજ્યમાં લૉકડાઉનને કેવી રીતે સંભાળવા માંગો છો. હું ઈચ્છું છું કે લૉકડાઉન દરમિયાન અને તેમાં ક્રમિક છૂટ બાદ વસ્તુઓ સામનો કેવી રીતે કરવામાં આવે, તેની તમે બ્લૂ પ્રિન્ટ બનાવો.
8. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા માટે સૌથી મોટો પડકાર છૂટછાટ બાદ પણ કોવિડ-19ને ગામો સુધી ફેલાવાતો રોકવાનો હશે.
9. તૃણમૂલ કૉંગ્રેસના સૂત્રો મુજબ, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, એક તરફ તો કેન્દ્ર ઈચ્છે છે કે લૉકડાઉનને કડક રીતે લાગુ કરવામાં આવે જ્યારે બીજી તરફ આ ટ્રેન સેવાઓ શરૂ થઈ રહી છે અને રાજ્યની બોર્ડરો ખોલવામાં આવી રહી છે. લૉકડાઉનને ચાલુ રાખવાનો શું મતલબ છે જ્યારે રેલવે, બોર્ડર અને અન્ય ક્ષેત્રોને ખોલવાની મંજૂરી આપવામાં આવે છે. આ વિરોધાભાસી છે.
10. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે લૉકડાઉનને આગળ લંબાવવાનું સૂચન કરતાં કહ્યું કે લૉકડાઉનથી બહાર આવતી વખતે તકેદારી રાખીને રણનીતિ ઘડવી જોઈએ. તમિલનાડુમાં વધતા કોરોનાના કેસોની હવાલો આપતાં રાજ્યના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ વડાપ્રધાનને આગ્રહ કર્યો કે 31 મે સુધી ટ્રેન સેવાઓને મંજૂરી ન આપે. બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે નિષિદ્ધ ક્ષેત્રોને બાદ કરતાં રાષ્ટ્રીય રાજધાનીમાં આર્થિક ગતિવિધિઓને મંજૂરી આપવી જોઈએ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓ માટે મુંબઈમાં લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવે.
આ પણ વાંચો, લૉકડાઉનના કારણે તુર્કી ન જઈ શક્યો આ જર્મન, 54 દિવસથી દિલ્હી એરપોર્ટ પર રહેવા મજબૂર