જ્યાં એક તરફ દેશમાં હિંસાનો માહોલ ચાલી રહ્યો છે ત્યાં જ બીજી તરફ મુસ્લિમ સમાજ 19 જાન્યુઆરીએ મસ્જિદ પરિસરમાં એક હિંદુ લગ્નને ધૂમધામથી કરીને ભાઇચારાનું અદ્ધભૂત આપશે. ભાઇચારાને વધારવા માટે તે આ પરિવારને આ સાથે જ આર્થિક મદદ પણ કરશે. આર્થિક રીતે નબળા એક હિંદુ પરિવારની મદદ કરવા માટે મસ્જિદ સમિતિએ આ પગલું લેવાનું વિચાર્યું છે. આ લગ્ન કેરળના ચેરુવલ્લી મુસ્લિમ જમાત મસ્જિદમાં થઇ રહી છે. જ્યાં મસ્જિદ પરિસરમાં હિંદુ પરંપરાથી લગ્ન કરવામાં આવશે.
22 વર્ષીય અંજૂનો પરિવાર આર્થિક રીતે ગરીબ છે. તેના પિતા અશોકનનો સ્વર્ગવાસ થઇ ચૂક્યો છે. આર્થિક હાલત ઠીક ન હોવાના કારણે અંજૂની માંએ મસ્જિદ સમિતિ સામે લગ્ન માટે મદદ માંગી. ચેરુવલ્લી જમાત સમિતિના સચિવ નુજુમુદ્દીન અલુમ્મૂટ્ટીલે તેમની આર્થિક સ્થિતિને જોતા તરત જ હા કહી દીધી.
નુજુમુદ્દીને જણાવ્યું કે આ લોકોની આર્થિક સ્થિતિ સારી નથી. 2018માં અંજૂના પિતાની મોત પછી પરિવારની સ્થિતિ વધુ બગડી. બાળકોના ભણતરના પણ પૈસા નહતા. નુજુમુદ્દીને તેના નાના દિકરાના ભણવા માટે ખાનગી રીતે પણ મદદ કરી છે.
નુજુમુદ્દીને વધુમાં જણાવ્યું કે મસ્જિદ સમિતિએ આ લગ્નને વધુ યાદગાર બનાવવા માટે નવ દંપતીને ભેટ સ્વરૂપે સોનાનો દાગીના અને બે લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. આ લગ્નમાં 1 હજાર લોકોના ખાવા માટે તૈયારી કરવામાં આવશે. 19 જાન્યુઆરીના રોજ સવારે 11:30 થી 12:30ની વચ્ચે હિંદુ રીતી રિવાજ સાથે મસ્જિદ પરિસરમાં આ લગ્ન સંપન્ન થશે.
આ અનોખા લગ્નના કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થયેલા આ કાર્ડ પર જમાત સમિતિએ કહ્યું કે પરિવારના અનુરોધ પર આ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને તમામ લોકોને આ લગ્નમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.
Published by:News18 Gujarati
First published:January 06, 2020, 15:04 pm