ન્યૂઝ18 ગુજરાતી: રાજ્યસભામાં સવર્ણો માટેનું 10 ટકા આર્થિક અનામત બિલ આજે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. આ બિલ પર આજે આખા દિવસની લાંબી ચર્ચા બાદ પ્રસ્તાવ આવ્યો કે, બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવે. જોકે, આ મુદ્દે મતદાન કરવામાં આવ્યું. જેમાં આખરે 155 મત બિલને સિલેક્ટ કમિટી પાસે નહી મોકલવાની તરફેણમાં પડ્યા, જ્યારે 18 મત બિલને કમિટી મોકલવા માટે પડ્યા.
સવર્ણ અનામત બિલ પર થઈ રહેલી ચર્ચા ઉપર બોલતાં રામગોપાલ યાદવે કહ્યું કે, જે મેરિટનો આંકડો હતો તે તમે નાનો કરી દીધો, તમે મેરિટને શોર્ટ કરી દીધો અને સંખ્યાને વધારી દીધી. એક વર્ષ બાદ આપને તેની અસર દેખાશે. યાદવની આ વાતને વચમાં અટકાવતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, તમે મેરિટની વાત કરો છો પરંતુ જ્યારે તમે મુસ્લિમ અનામત લાવ્યા તો ત્યારે શું મેરિટની સંખ્યા ઓછી નહીં થાય. તમે તો મુસ્લિમ અનામત લઈ આવ્યા, તો મેરિટથી બાળકોનું શું થશે. તમે તમારું 2012નો મેનિફેસ્ટો જોઈ લેજો.
અગાઉ, રાજ્યસભામાં સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે સવર્ણ વર્ગને અનામત આપવા સાથે જોડાયેલું બિલ રાજ્યસભામાં રજૂ કર્યું. ડીએમકે સાંસદ કનિમોજીએ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગ કરી. આ દરમિયાન ગૃહની કાર્યવાહીને એક દિવસ લંબાવવા મામલે વિપક્ષે હોબાળો કરી વિરોધ નોંધાવ્યો.
કોંગ્રેસના આનંદ શર્માએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, લોકસભ ચૂંટણી યોજાવાની છે એટલે આ બિલ લાવવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અનામત આપી દીધું પરંતુ નવી નોકરીઓ તો ઊભી નથી થઈ રહી તો તેનો શું ફાયદો થશે? આ લોકોને લાલચ આપવા સમાન છે. પહેલા રોજગારી આપો, અર્થવ્યવસ્થા સુધારો પછી અનામતની વાત કરો.
કોંગ્રેસના સાંસદ મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે, કોઈ બિલને રજૂ થયાના બે દિવસ પહેલા તેની કોપી આપવી પડે છે. તેઓએ વધુમાં કહ્યું કે, એક દિવસમાં બિલ પર વોટિંગ અને તેનો પરિચય નથી આપવામાં આવતો. ગૃહ જાણવા માંગે છે કે સરકારને આ બિલ લાવવામાં આટલી ઉતાવળ કેમ છે. તેઓએ કહ્યું કે બિલ હજુ અધૂરું છે.
કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે, ગૃહમંત્રીએ ગૃહમાં આવીને નાગરિક્તા સંશોધન બિલ પર બોલવું જોઈએ. તેઓએ કહ્યું કે, ગૃહમંત્રીને પૂર્વોત્તરને આશ્વાસન આપવું જોઈએ કે દેશની અખંડતા બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામત આપનારું બિલ મંગળવારે લોકસભામાં 323 મતોની સાથે પાસ થઈ ગયું. તેના વિરોધમાં 3 વોટ પડ્યા. બુધવારે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવાની શક્યતા છે જ્યાં સરકારની પાસે બહુમત નથી. એવામાં બુધવારે પણ સરકારની પરીક્ષા છે.
લોકસભામાં વિપક્ષ સહિત લગભગ તમામ પાર્ટીઓએ બંધારણ (124મું સંશોધન) 2019 બિલનું સમર્થન કર્યું. સાથે જ સરકારે દાવો કર્યો કે કાયદો બન્યા બાદ તે ન્યાયિક સમીક્ષાની અગ્નિપરીક્ષામાં પણ પાસ થશે કારણ કે તેને બંધારણ સંશોધન દ્વારા લાવવામાં આવ્યું છે.
લોકસભામાં કેન્દ્રીય ન્યાય અને અધિકારરિતા મંત્રી થાવરચંદ ગેહલોતે બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની રચના બાદ જ ગરીબોની સરકાર હોવાની વાત કહી હતી અને પોતાના દરેક પગલાથી તેમણે સાબિત પણ કર્યું. તેમના જવાબ બાદ ગૃહમાં 3ની સામે 323 મતોથી બિલને પાસ કરવામાં આવ્યું.