Home /News /national-international /UP Election 2021: સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી પર કટાક્ષ કર્યો, કહ્યું- ‘ઘરે છોકરો છે પણ લડી નથી શકતો’
UP Election 2021: સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી પર કટાક્ષ કર્યો, કહ્યું- ‘ઘરે છોકરો છે પણ લડી નથી શકતો’
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી પર કર્યો કટાક્ષ. (ફાઈલ ફોટો)
UP Election 2021: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીએ મહિલા ઉમેદવારોને 40 ટકા ટિકિટ આપવાના પ્રિયંકા ગાંધીના પ્રસ્તાવ પર વળતો પ્રહાર કરતા કહ્યું, ‘તેનો અર્થ એ થયો કે તેઓ એવું કહી રહ્યા છે કે તેઓ મહિલાઓને 60 ટકા ટિકિટ આપવા માગતા નથી.’
નવી દિલ્હી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)ના નારા ‘લડકી હૂં, લડ સક્તી હૂં’ને લઈને કટાક્ષ કરતા કહ્યું કે ‘ઘર પર લડકા હૈ, પર લડ નહીં સક્તા’ (ઘરે છોકરો છે, પણ લડી નથી શક્તો). ઈરાનીએ એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) અને સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) પર પણ વ્યંગ કર્યો હતો. ઈરાનીએ કહ્યું, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી વિકાસના મુદ્દા પર લડવામાં આવશે અને અમને આશા છે કે નીતિ, વિકાસ અને લોકશાહીને મજબૂત કરવા પર વિચાર વિમર્શ થશે.
પ્રિયંકા ગાંધીએ ગયા મહિને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 40 ટકા બેઠકો પર મહિલા ઉમેદવારોને ઊભા રાખવાની જાહેરાત કરતી વખતે ‘લડકી હૂં, લડ સક્તી હૂં’નું સૂત્ર આપ્યું હતું. આ નારાનો ઉલ્લેખ કરતા ઈરાનીએ કહ્યું કે તેનો અર્થ એ થયો કે 'ઘરમાં છોકરો છે, પરંતુ લડી શકતો નથી.’ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીએ મહિલા ઉમેદવારોને 40 ટકા ટિકિટ આપવાના પ્રિયંકા ગાંધીના પ્રસ્તાવ પર વળતો પ્રહાર કરતા કહ્યું, ‘તેનો અર્થ એ થયો કે તેઓ એવું કહી રહ્યા છે કે તેઓ મહિલાઓને 60 ટકા ટિકિટ આપવા માગતા નથી.’
તેમણે કહ્યું, હું એમ નથી કહેતી કે લોકોએ રાજકારણ અને લોકશાહીમાં પ્રયત્ન ન કરવો જોઈએ. જીત અને હાર એ રાજકારણનો ભાગ છે. હું પણ 2014માં હારી ગઈ હતી, પરંતુ સવાલ એ છે કે લોકોને તમારા પ્રયાસો પર કેટલો વિશ્વાસ છે. રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા ઈરાનીએ કહ્યું, 'શું લોકોમાં એ વ્યક્તિને લઈને પણ આ ભાવના છે?’ તેમણે કહ્યું કે મહિલા નેતાઓ પાસેથી આ અપેક્ષા ન રાખવી જોઈએ કે તેઓ માત્ર સમાજની મહિલા સભ્યો માટે જ કામ કરશે.’
શું ભાજપ ધ્રુવીકરણની ફોર્મ્યુલા પર કામ કરે છે? આવો સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ‘શું તમને લાગે છે કે આ દેશના નાગરિકો રાજકીય વિશ્લેષણ કરી શકતા નથી અને કોઈપણ ફોર્મ્યુલાને કારણે વોટ આપશે? સપા અધ્યક્ષ અખિલેશ યાદવે 31 ઓક્ટોબરે હરદોઈમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને મોહમ્મદ અલી ઝીણા બેરિસ્ટર બન્યા અને દેશની આઝાદી માટે લડ્યા અને ક્યારેય પીછેહઠ કરી નથી. અખિલેશ યાદવના નિવેદન પર કટાક્ષ કરતા ઈરાનીએ કહ્યું કે આ સરખામણી ફરી એ દર્શાવે છે કે 'છોકરાઓ છે, લડી નથી શકતા'.
તેમણે કહ્યું, 'સરદાર પટેલ અજોડ છે. પાંચસો રજવાડાઓમાં એકતાની ભાવના જાગૃત કરવાનો શ્રેય સરદાર પટેલને જાય છે. તમે કલ્પના કરી શકો છો કે તેમનું વ્યક્તિત્વ કેટલું 'વિરાટ' રહ્યું હશે. ઈરાનીએ કહ્યું, 'શું તમે તે વ્યક્તિની તુલના તે સજ્જન (ઝીણા) સાથે કરી શકો છો જેણે કહ્યું હતું કે ચાલો ધર્મના આધારે દેશને વિભાજીત કરીએ. તેમણે કહ્યું, એકે દેશને એકજૂટ કરવા માટે કામ કર્યું જ્યારે બીજાએ તેને તોડવાની દિશામાં કામ કર્યું.’
‘તકવાદી હિન્દુ કે રાજકીય હિન્દુ અને 'સનાતન' હિન્દુઓ વચ્ચે અંતર છે’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સરખામણી ISIS અને બોકો હરામ સાથે કરતા સલમાન ખુર્શીદના તાજેતરના પુસ્તક પર ઈરાનીએ કહ્યું કે, તેમણે (ખુર્શીદે) 15 વર્ષ પહેલાં પણ એક પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે 1984ના દંગામાં હિંદુઓ અને શીખોએ પોતાના પાપોની ચૂકવણી કરી હતી. ઈરાનીએ ‘હિન્દુત્વ પર કોઈ એક પક્ષ નહીં, પણ દરેકનો અધિકાર છે’ એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન પર કહ્યું કે, તકવાદી હિન્દુ કે રાજકીય હિન્દુ અને 'સનાતન' હિન્દુ વચ્ચે અંતર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર