આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ લઇને તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ દર વખતે નવા અંદાજમાં પ્રદર્શન કરે છે. સંસદના શિયાળુ સત્રમાં પાર્ટીના તમામ સાંસદ માગ કરી રહ્યાં છે. જેમાં ટીડીપી સાંસદ નિરામલ્લી શિવપ્રસાદ પણ છે, શિવપ્રસાદ શુક્રવારે ભગવાન શિવની વેશભૂષા ધારણ કરી સંસદ પહોંચ્યા હતા. આ પહેલા તેઓ સ્કૂલના બાળકો, નારદ મુનિ સહિત અનેક રૂપોમાં સંસદ આવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માગને લઇને પાર્ટીના મુખિયા અને આંધ્રપ્રદેશના સીએમ એન. ચંદ્રબાબુ નાયડુએ એનડીએ સાથેનો છેડો ફાડ્યો છે, મીડિયાને આપેલા નિવેદનમાં આંધ્રપ્રદેશના સીએમએ આરોપ લગાવ્યો કે મોદી સરકારે રાજ્યની જનતા સાથે કરેલો પોતાનો વાયદો પૂર્ણ કર્યો નથી આથી હું તેમની પાર્ટીને આપેલું સમર્થન પાછું ખેંચું છું.
આ પહેલા એન ચંદ્રબાબુ નાયડુ 20 એપ્રિલે એક દિવસના ઉપવાસ પર પણ બેઠા હતા. આંધ્રપ્રદેશમાંથી તેલંગણાને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું હતું. ટીડીપી નેતાનું કહેવું છે કે વર્ષ 2014માં આંધ્રપ્રદેશના ભાગલા સમયે કરવામાં આવેલા વાયદા પૂર્ણ કરવામાં આવ્યા નથી.
તો આ વર્ષે 8 એપ્રિલે તેલગુ દેશમ પાર્ટીના સાંસદ વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ લઇને લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ સામે વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે. તેલગુ દેશમ પાર્ટીના સાંસદોના વિરોધ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર