નવી દિલ્હી : ગત દિવસોમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ (CM Captain Amarinder Singh)ના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ ઐતિહાસિક મુલાકાતે કરતારપુર સાબિહ (kartarpur corridor) ગયું હતું. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Pakistan PM Imran Khan) અને ત્યાંના વિદેશ મંત્રીએ ઝીરો પોઈન્ટ પર કેપ્ટન અમરિન્દર સિંહનું સ્વાગત કર્યું હતું. તમામ લોકોએ બેટરી સંચાલિત એક જ બસમાં મુસાફરી કરી હતી. આ સફર ઝીરો લાઇનથી કરતારપુર સાહિબ જવા સુધીની હતી. હવે બસમાં થયેલી વાતચીત સામે આવી છે, જે ચર્ચાની વિષય બની છે. કેપ્ટન અમરિન્દર સિંહે ઇમરાન ખાનને બંનેના કુટુંબ વચ્ચે જૂના સંબંધોની યાદ અપાવી હતી.
બંને નેતાઓ વચ્ચે આ મુદ્દા વાતચીત થઈ
પંજાબની સીએમ ઑફિસ તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ બ્રીફના જણાવ્યા પ્રમાણે, આ યાત્રા ફક્ત પાંચ મિનિટની હતી. આ યાત્રા દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે કુટુંબ અંગે થયેલી વાતચીત સામે આવી છે. સીએમ અમરિન્દર સિંહે વાતચીત દરમિયાન પાક. પીએમને જણાવ્યું કે, તેઓ તેમને ક્રિકેટ રમવાના સમયથી જાણે છે. તેમણે જણાવ્યુ કે પાકિસ્તાન વડાપ્રધાનના સંબંધીઓ જહાંગીર ખાન અંગ્રેજોના જમાનામાં પટિયાલા તરફથી ક્રિકેટ રમ્યા હતા. તેમની સાથે મુહમ્મદ નિસાર, લાલા અમરનાથ, ફાસ્ટ બોલર અમર સિંહ અને બેટ્સમેન વઝીર અલી અને અમીર અલી હતી. આ સાત ખેલાડી તેમની ટીમના સભ્ય હતા, જેની કેપ્ટનશીપ અમરિન્દર સિંહના પિતા મહારાજા યાદવિન્દર સિંહે વર્ષ 1934-35માં ભારત અને પટિયાલા માટે કરી હતી.
ક્રિકેટની વાત છેડી
સીએમ કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું કે, પાંચ મિનિટની મુસાફરી દરમિયાન ક્રિકેટના માધ્યમથી બંને દેશ વચ્ચે સૌહાર્દ કાયમ રાખવામાં ખૂબ મદદ મળી હતી. આ પહેલા બંને એકબીજાને મળ્યા ન હતા, અને વ્યક્તિગત રીતે એકબીજાને ઓળખતા પણ ન હતા. પરંતુ, વાતચીત બાદ બંનેએ એવો સંકેત આપ્યો કે કરતારપુર સાહિબની યાત્રાથી બંને દેશ વચ્ચેના સંબંધો ક્રિકેટની જેમ મજબૂત બનશે.