નવી દિલ્હી : પયગમ્બર મોહમ્મદ સામે કથિત ટિપ્પણીને લઇને નૂપુર શર્માને (Nupur Sharma)મોટા ફટકો પડ્યો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલા બધા કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગણીવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court)રાહત આપવાથી ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માની અરજી ફગાવી દીધી છે અને ફટકાર લગાવતા કહ્યું કે તેણે પયગમ્બર મોહમ્મદ પર કથિત ટિપ્પણીને લઇને દેશની માફી માંગવી જોઈએ.
પયગમ્બર મોહમ્મદને લઇને કરેલ ટિપ્પણી માટે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા ટિપ્પણી કરી કે નૂપુર શર્માના નિવેદનના કારણે ઉદયપુર જેવી દુખદ ઘટના સામે આવી છે. તે એક પાર્ટીની પ્રવક્તા છે તેનો અર્થ એ નથી કે તે કશું પણ બોલી શકે છે. કોર્ટે ટિપ્પણી કરી કે અમે ટીવી ડિબેટને જોઈ છે તેને ભડકાવવાનો પ્રયત્ન કર્યો પણ તે પછી તેણે જે કહ્યું તે શરમજનક છે. તેણે ટીવી પર આખા દેશની માફી માંગવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે નૂપુર શર્માના નિવેદને દેશભરમાં લોકોની ભાવનાઓને ભડકાવી દીધી છે. આજે જે કશું દેશમાં થઇ રહ્યું છે તે માટે તે જવાબદાર છે. કોર્ટે આગળ કહ્યું કે પોલીસે જે કશું કર્યું તેના પર અમારું મો ખોલાવશો નહીં. તેણે હવે મેજિસ્ટ્રેટ સામે હાજર થવું જોઈએ. આ ટિપ્પણી તેનું ઘમંડી વલણને બતાવે છે. જો તે કોઇ પાર્ટીની પ્રવક્તા છે તો તેને કશું પણ કહેવાનો અધિકાર મળી જતો નથી. કોર્ટે કહ્યું કે નૂપુર શર્માએ જેની સામે ફરિયાદ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી પણ નૂપુર શર્માને કશું થયું નથી.
નૂપુર શર્માએ પોતાની અરજીમાં જાનથી મારી નાખવાની ધમકીનો હવાલો આપતા દેશભરમાં અલગ-અલગ રાજ્યોમાં કરવામાં આવેલા બધા કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગણી કરી છે. નૂપુર શર્માએ કહ્યું કે તેને સતત જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. જેથી અલગ-અલગ રાજ્યોમાં પૂછપરછમાં તેના જીવને ખતરો છે.
ઉલ્લેખનીય છે કે એક ટીવી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ પયગમ્બર મોહમ્મદ સામે કથિત રૂપથી વિવાદિત ટિપ્પણી કરી હતી. જેનો ઘણો વિરોધ થયો હતો. આ પછી ભાજપાએ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને નિલંબિત કરી દીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર