દેશની બેંકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા ભાગેડુ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી કેટલી રકમ વસૂલવામાં આવી છે તેની માહિતી બુધવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી હતી. કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે વિજય માલ્યા (Vijay Mallya), નીરવ મોદી (Nirav Modi) અને મેહુલ ચોક્સી (Mehul Choksi) ફ્રોડ કેસમાં બેંકોના 18000 કરોડ રૂપિયા પરત ફર્યા છે.
SCમાં PMLA વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી
તુષાર મહેતાએ જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (Prevention of Money Laundering Act, 2002) સંબંધિત કુલ કેસોમાં રૂ. 67000 કરોડના આર્થિક ગુનાનો સમાવેશ થાય છે. પીએમએલએ હેઠળ ગુનાની કાર્યવાહીની શોધ, જપ્તી, તપાસ અને જોડાણ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઉપલબ્ધ સત્તાઓના વ્યાપક અવકાશને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચના અન્ય સભ્યોમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમાર છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હાલમાં 4700 કેસોની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ED દ્વારા તપાસના નવા કેસ વર્ષ 2105-16માં 111 થી 2020-21માં 981ની રેન્જમાં છે. ED પાસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ સંપત્તિની તપાસ, જપ્તી, શોધ અને જપ્ત કરવાની સત્તા છે.
તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે વર્ષ 2016 થી 2021 દરમિયાન EDએ તપાસ માટે માત્ર 2086 PMLA કેસ સ્વીકાર્યા હતા, જ્યારે આવા કેસો માટે 33 લાખ FIR નોંધવામાં આવી હતી. તેમણે કહ્યું કે પીએમએલએ હેઠળ દર વર્ષે બહુ ઓછી સંખ્યામાં કેસ લેવામાં આવે છે. જ્યારે દર વર્ષે બ્રિટનમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 7900 કેસ, અમેરિકામાં 1532 કેસ, ચીનમાં 4691 કેસ, ઓસ્ટ્રિયામાં 1036 કેસ, હોંગકોંગમાં 1823 કેસ, બેલ્જિયમમાં 1862 કેસ અને રશિયામાં 2764 કેસ નોંધાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર