નવી દિલ્હી : પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab Election 2022) માટે કોંગ્રેસે ત્રીજ યાદી જાહેર કરી છે. જેમાં કુલ આઠ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીની ત્રીજી લિસ્ટમાં સૌથી મોટું નામ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનું (charanjit singh channi Election Seats)છે. નવા લિસ્ટમાં કોંગ્રેસ ચરણજીત સિંહ ચન્નીને (charanjit singh channi)ભદૌર (આરક્ષિત) વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા પાર્ટી ચમકૌર સાહિબ સીટથી ચરણજીત સિંહ ચન્નીને ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સીએમ ચન્ની ચમકૌર સાહિબ અને ભદૌર બે વિધાનસભા સીટ પરથી પોતાનું નસીબ અજમાવશે.
નવા લિસ્ટમાં સીએમ સિવાય બીજા ઉમેદવારની વાત કરવામાં આવે તો અટારી વિધાનસભા સીટથી તરસેમ સિંહ સિયાલકા, ખેમકરનથી સુખપાલ સિંહ ભૂલ્લર, નવા શહેરથી સતબીર સિંહ સૈની, લુધિયાણાથી ઇશ્વરજોત સિંહ ચીમા, જલાલાબાદથી મોહન સિંહ ફલિયાવાલા, બરનાલાથી મનીષ બંસલ, જ્યારે પટિયાલાથી વિષ્ણુ શર્માને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસના નવા લિસ્ટમાં પટિયાલાથી વિષ્ણુ શર્માને ઉમેદવાર જાહેર કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મતભેદો પછી વિષ્ણુ શર્માએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. થોડાક દિવસો પહેલા તેમણે પાર્ટીમાં વાપસી કરી હતી. હવે કોંગ્રેસે પટિયાલાથી વિષ્ણુ શર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યાં તેમની ટક્કર પંજાબ લોક કોંગ્રેસના કેપ્ટન અમરિંદર સિંહ સામે થશે. બીજી તરફ આ સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીતપાલ સિંહ કોહલી છે.
કોંગ્રેસની ત્રીજા યાદીમાં બીજો મોટો ફેરફાર એ જોવા મળ્યો છે કે પાર્ટીએ નવા શહેર વિધાનસભા ક્ષેત્રથી વર્તમાન ધારાસભ્ય અંગદ સિંહ સૈનીની ટિકિટ કાપી નાખી છે. અંદત સિંહ સૈની ઉત્તર પ્રદેશના રાયબરેલી સદર સીટથી ધારાસભ્ય અદિતિ સિંહના પતિ છે. હાલમાં જ અદિતિ સિંહે કોંગ્રેસ છોડીને ભાજપા પાર્ટી જોઈન કરી છે. ભાજપાએ તેમને રાયબરેલી સદરથી ઉમેરવાર બનાવ્યા છે. પાર્ટી તરફથી અંગદ સિંહ સૈનીને ટિકિટ ના આપવા પાછળ અદિતિ સિંહનો બળવો કારણ માનવામાં આવી રહ્યું છે.