જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં કુંભ નગરી પ્રયાગરાજના મહેશ યાદવ પણ શહીદ થયા છે. મહેશ યાદવ સીઆરપીએફમાં કોન્સ્ટેબલ હતા અને બિહારમાં 118 બટાલિયનમાં તહેનાત હતા. શહીદ મહેશ કુમારના ઘરે શોક સંવેદના વ્યક્ત કરનારાઓનો જુવાળ ઉમટી પડ્યો છે, પરંતુ લોકોમાં આ આતંકી હુમલાને લઈને ભારે આક્રોશ પણ છે, લોકો જ્યાં પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ કરી રહ્યા છે, બીજી તરફ પરિજનો પણ વડાપ્રધાન મોદીને આતંકવાદની વિરુદ્ધ કડક પગલાં લેવાની પણ માંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અઢી વર્ષ પહેલા જ નોકરી પર લાગેલા મહેશ પર સમગ્ર પરિવારનું પેટ ભરવાની જવાબદારી હતી. નાના ભાઈનો અભ્યાસ અને બહેનના લગ્નની સાથે પત્ની તથા બે માસૂમ બાળકોના ભરણપોષણની જવાબદારી તેમના માથે હતી. મિલનસાર સ્વભાવના મહેશની શહાદત પર પરિવાર ઉપરાંત સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયો છે. ચાર અને છ વર્ષના માસૂમ બાળકોને એ વાતનો અહેસાસ નથી કે પિતાની છત્રછાયા તેમના માથેથી છીનવાઈ ચૂકી છે. ચોધારઆંસુથી રડતી તેમની પત્ની સંજૂ દેવી પાસે પોતાનું દુ:ખ વ્યક્ત કરવા માટે શબ્દ જ નથી.
બહેન સંજના અને માતા શાંતિ દેવી એ હદે ગુસ્સામાં છે કે પીએમ મોદી અને તેમની સરકારને આ હુમલાનો બદલો તાત્કાલીક જવાની માંગ કરી રહ્યા છે. 12મા ધોરણમા અભ્યાસ કરતી બહેન સંજનના આંસુ રોકાવાનું નામ જ નથી લઈ રહ્યા. મહેશ કુમાર યાદવ પ્રયાગરાજ યમુનાપારના મેજા વિસ્તારના રહેવાસી હતા. બે ભાઈઓ અને એકમાત્ર બહેનમાં સૌથી મોટા મહેશને તેમના પિતા સુરેશે ઓટો રિક્ષા ચલાવીને ભણાવ્યા હતા.
મહેશ નાનપણથી જ દેશ માટે લડવાનું સપનું જોતા હતા, તેથી તેઓેએ ખેતી કરવાની સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને 2016માં સીઆરપીએફમાં ભરતી થયા. મહેશની શહાદત બાદ પરિવાર હવે અનાથ થઈ ગયો છે. મહેશ એટલો મિલનસાર તથા હસમુખા હતા કે તેમને યાદ કરીને સમગ્ર ગામ રડી રહ્યું છે. પરિવાર અને ગામના લોકો પીએમ મોદી તથા તેમની સરકારને મહેશના મોતનો બદલો લેવા તથા આતંકીઓ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની માંગ કરી રહ્યા છે. લોકોને આશા છે કે પીએમ મોદી આ વખતે પોતાના વાયદાને ચોક્કસ પૂરો કરશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર