PM મોદીએ કરી ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત. (ANI)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશવાસીઓને સંબોધિત કરતા મોટી જાહેરાત કરતા કહ્યું કે સરકાર ત્રણેય કૃષિ કાયદા (Three Farm Laws)ને પાછા ખેંચશે અને આગામી સંસદ સત્ર (Parliament Session)માં આ અંગે જરૂરી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશવાસીઓને સંબોધિત કરતા શુક્રવારે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે તેમની સરકાર ત્રણેય કૃષિ કાયદા (Three Farm Laws)ને પાછા ખેંચશે અને આગામી સંસદ સત્ર (Parliament Session)માં આ અંગે જરૂરી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે એક સમિતિની રચના કરશે. તેમણે કહ્યું કે, અમારી સરકાર લાખ પ્રયત્નો કરવા છતાં ખેડૂતોના વિરોધ (Farmers Protest)ને સમજાવી ન શકી અને દેશવાસીઓની માફી માગું છું કે, અમારા પ્રયાસોમાં કંઈક ખામી રહી હશે. પીએમએ પ્રદર્શનકર્તા ખેડૂતોને કહ્યું કે, ગુરુપર્વના અવસર પર તમે તમારા ઘરે અને ખેતરોએ પાછા ફરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘ખેડૂતોની સ્થિતિ સુધારવાના મહાઅભિયાનમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ તાકાત મળે અને તેમને ઉપજની યોગ્ય કિંમત મળે. વર્ષોથી આ માંગ, દેશના કૃષિ નિષ્ણાતો, સંગઠન અને વૈજ્ઞાનિક કરી રહ્યા હતા. પહેલાં પણ કેટલીય સરકારોએ મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ કે વધુ કાયદા લાવશું. દેશના ખૂણેખૂણે વિવિધ ખેડૂત સંગઠનોએ સ્વાગત કર્યું અને ટેકો આપ્યો. આજે હું એ બધાના સમર્થન માટે ખૂબ ખૂબ આભાર માનું છું.’
પીએમએ કહ્યું કે, 'અમારી સરકાર, ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે અને ગરીબોના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ ઇમાનદારીથી આ કાયદો લઈને આવી છે. અમે અમારા પ્રયાસો છતાં કેટલાક ખેડૂતોને સમજાવી નથી શક્યા ભલે ખેડૂતોનો એક વર્ગ વિરોધ કરી રહ્યો હતો. વૈજ્ઞાનિકો, કૃષિ કાયદાના નિષ્ણાતોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. અમે ખેડૂતોની વાતો અને તેમના તર્કને સમજવામાં કોઈ કસર છોડી નથી. કાયદાની જે જોગવાઈઓ પર તેમને વાંધો હતો, એના પર પણ વાત કરી. આજે દેશવાસીઓની માફી માંગતી વખતે હું કહેવા માંગુ છું કે અમે કેટલાક ખેડૂતોને સમજાવી ન શક્યા.’
વડાપ્રધાને દેશવાસીઓને સંબોધતા કહ્યું, 'મેં જે પણ કર્યું, બધું ખેડૂતો માટે કર્યું. હું જે પણ કરી રહ્યો છું તે દેશ માટે કરી રહ્યો છું. દેશવાસીઓના આશીર્વાદથી મેં મારી મહેનતમાં કોઈ કસર છોડી નથી. આજે હું તમને આશ્વાસન આપું છું કે હું વધુ મહેનત કરીશ. જેથી તમારા સપના અને રાષ્ટ્રના સપના સાકાર થઈ શકે.’
પીએમ મોદીએ કહ્યું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તેની પ્રક્રિયા આ મહિને આગામી સંસદ સત્રથી શરૂ થશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ તેમના ઘરે પાછા ફરે અને નવેસરથી શરૂઆત કરે.
પીએમે કહ્યું કે અમે ખેડૂતોને સસ્તા ભાવે બીજ આપવા માટે કામ કર્યું. માઈક્રો ઇરીગેશનથી સિંચાઈની યોજનાઓ શરૂ કરી. 22 કરોડ સોઈલ હેલ્થ કાર્ડ બનાવ્યા... આ બધું કૃષિ ઉત્પાદન વધારવા માટે કરવામાં આવ્યું હતું. સાથે અમે પાક વીમા યોજના શરૂ કરી અને તે હેઠળ ખેડૂતોને પણ જોડ્યા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે ખેડૂતોને તેમની ઉપજની સંપૂર્ણ અને યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. અમે ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું. અમે ન માત્ર MSP વધારી પરંતુ સરકારી ખરીદને પણ રેકોર્ડ ઊંચાઈએ લઈ ગયા. અમારી સરકાર દ્વારા પાકની ખરીદીએ છેલ્લા દાયકાઓના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું 2014માં વડાપ્રધાન બન્યો તો અમારી સરકારની પ્રાથમિકતા ખેડૂતોનું કલ્યાણ અને વિકાસ હતી. ઘણા લોકો આ વાતથી અજાણ છે કે દેશના 100માંથી 80 ખેડૂતો નાના પાયાના છે અને તેમની પાસે જમીન 2 હેક્ટરથી પણ ઓછી છે. આ ખેડૂતોની વસ્તી 10 કરોડથી વધુ છે અને તેમની આજીવિકા પણ આ જમીન છે. ત્યારબાદ વડાપ્રધાને પોતાના ભાષણનું સમાપન- દેહ સિવા બરુ મોહિ ઇહૈ સુભ કરમન તે કબહૂં ન ટરોં- થી કર્યું, જે ગુરુગોવિંદ સિંહની રચના દસમ ગ્રંથના ચંડી ચરિતરનો એક શબ્દ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર