PM Narendra Modi In Goa: ‘ગોવા મુક્તિ દિવસ’ (Goa Liberation Day) નિમિતે ગોવાની મુલાકાત દરમ્યાન પીએમ મોદી ખાસ કાર્યક્રમોમાં ભાગ લેશે તેમજ વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવારે ગોવા (PM Modi in Goa)ની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગોવા મુક્તિ દિવસ (Goa Liberation Day) પર આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે તેમજ વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં શુક્રવારે કહેવામાં આવ્યું કે મોદી શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં મુક્તિ દિવસ સમારોહમાં ભાગ લેશે.
પીએમ મોદી ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરવા માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ચલાવવામાં આવેલ 'ઓપરેશન વિજય'ના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરશે. આ ઉપરાંત, તેઓ નવીનીકરણ કરાયેલ અગૌડા જેલ સંગ્રહાલય, ગોવા મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિટી વિભાગ અને ન્યૂ સાઉથ ગોવા જિલ્લા હોસ્પિટલ સહિત અન્ય ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
PMOએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોપા એરપોર્ટ પર ઉડ્ડયન કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને મડગાંવમાં ડેબોલિમ-નાવેલિમ ખાતે ગેસ સબ-સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે.
PM મોદી કાયદાકીય શિક્ષણ અને સંશોધન સંબંધિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરશે. જણાવી દઈએ કે ગોવામાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 'ગોવા લિબરેશન ડે' ભારતમાં દર વર્ષે 19 ડિસેમ્બરે મનાવવામાં આવે છે અને તે એ દિવસને ચિહ્નિત કરે છે જ્યારે ભારતીય સશસ્ત્ર દળોએ 450 વર્ષના પોર્ટુગીઝ શાસન બાદ 1961માં ગોવાને મુક્ત કર્યું હતું.
ભારતીય આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની સ્થાપના
ગોવાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના કેન્દ્રમાં પરિવર્તિત કરવાના સરકારના વિઝનને અનુરૂપ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ હેઠળ ભારતીય આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી ફોર લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની સ્થાપના કરવામાં આવશે. પોર્ટુગીઝ શાસનમાંથી ગોવાને આઝાદ કરાવનાર ભારતીય સશસ્ત્ર દળોની યાદમાં વડાપ્રધાન એક સ્પેશ્યલ કવર અને સ્પેશ્યલ કેન્સેલેશન પણ જારી કરશે.
ઈતિહાસનો આ ખાસ પ્રસંગ એક સ્પેશ્યલ કવર પર દર્શાવવામાં આવ્યો છે, જ્યારે સ્પેશ્યલ કેન્સેલેશનમાં ભારતીય નૌકાદળના જહાજ ગોમંતકમાં યુદ્ધ સ્મારકને પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જે સાત યુવાન બહાદુર ખલાસીઓ અને અન્ય કર્મચારીઓની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે, જેમણે 'ઓપરેશન વિજય’માં પોતાના પ્રાણની આહુતિ આપી હતી.
વડાપ્રધાન પત્રાદેવીમાં હુતાત્મા સ્મારકને દર્શાવતા 'માય સ્ટેમ્પ'નું પણ વિમોચન કરશે, જે ગોવા મુક્તિ આંદોલનના શહીદો દ્વારા કરવામાં આવેલ મહાન બલિદાનને સલામ કરે છે. ગોવા મુક્તિ સંગ્રામ દરમિયાનની વિવિધ ઘટનાઓના ફોટોગ્રાફ્સનો એક કોલાજ દર્શાવતા 'મેઘદૂત પોસ્ટ કાર્ડ'ને પણ વડાપ્રધાન સામે રજૂ કરવામાં આવશે.
વડાપ્રધાન સર્વશ્રેષ્ઠ પંચાયત/નગરપાલિકા, સ્વયંપૂર્ણ મિત્ર અને સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓને પુરસ્કારો પણ અર્પણ કરશે. વડાપ્રધાન પોતાની મુલાકાત દરમિયાન લગભગ 2:15 વાગ્યે પણજીના આઝાદ મેદાન ખાતે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે. મોદી બપોરે 2.30 વાગ્યે પણજીના મીરામારમાં સેલિંગ પરેડ અને ફ્લાય પાસ્ટ (Sail Parade and flypast)માં પણ ભાગ લેશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર